ભાવનગરથી અમારા સંવાદદાતા સુરેશત્રિવેદી જણાવે છે કે, કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે ભાવનગર સ્થિત સર તખ્તસિંહજી હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા વધતી જાય છે. સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ભારણને ઘટાડવા માટે રૂવાપરી રોડ ખાતે લેપ્રસી હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર માટે તાત્કાલિક કોરોનાની સારવાર માટેની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે.
શિક્ષણ રાજ્ય મંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ ભાવનગરના યુવરાજ જયવીર રાજ સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ઉભી કરવામાં આવેલ રૂવાપરી રોડ ખાતે લેપ્રસી હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઇ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ-સગવડોની જાત માહિતી મેળવી હતી.શિક્ષણ રાજ્ય મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે એ આજે કોરોના માટે ખાસ સમર્પ્રિત પાંચ ૧૦૮ વાહનોનું લોકાર્પણ પણ કર્યું હતું.
તેમણે જણાવ્યું કે, લેપ્રસી હોસ્પિટલ કુદરતી વાતાવરણ વચ્ચે આવેલી છે, ત્યારે દર્દીઓને વધુ સારો ઓક્સિજન મળશે.કુદરતી ઓક્સિજન મળવાથી તેમના સાજા થવાનો દર પણ વધુ રહેશે. શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ ભાવનગરના યુવરાજ સાહેબે આજે લેપ્રસી હોસ્પિટલની મુલાકાત લઇ વહીવટી તંત્રનો અને કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધાર્યો છે તે માટે અભિનંદન આપ્યાં હતાં.તેમણે કહ્યું કે, પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિમાં પ્રજા અને સરકારના સંયુક્ત પ્રયાસોથી જ કોરોના મહામારી પર નિયંત્રણ મેળવી શકાશે. તંત્ર દ્વારા તેમજ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક નવી હોસ્પિટલ, નવા બેડ, ઓક્સિજન, તબીબો વગેરેની તાત્કાલિક ધોરણે વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે.
ભાવનગરના યુવરાજે જયવીરરાજસિંહે કહ્યું કે, ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીએ લોકોની આરોગ્ય કાળજી માટે એ જમાનામાં સર ટી. અને લેપ્રસી હોસ્પિટલ પ્રજા માટે સમર્પિત કરી હતી.
પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાહુલ ગમારા, સીટી મામલતદારશ્રી ધવલ રવૈયા,સર ટી. હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટશ્રી જયેશ બ્રહ્મભટ્ટ, મેડિકલ કોલેજ ડિનશ્રી હેમંત મહેતા, સર ટી. હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટરશ્રી હાર્દિક ગાઠાણી સહિતના નિષ્ણાંત તબીબો અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાછલી પોસ્ટ