પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પોતાના એક સમયના કેબિનેટ સહયોગી નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન તાક્યું છે. કેપ્ટનના કહેવા પ્રમાણે નવજોત સિંહ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે વાતચીત કરી રહ્યા છે અને કોઈ પણ સમયે પક્ષપલટો કરી શકે છે.
મુખ્યમંત્રીના આરોપ પ્રમાણે સિદ્ધુએ અનેક વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત લીધી છે. અમરિંદર સિંહે કહ્યું કે, ’અમારી જાણકારી પ્રમાણે તેઓ ૩-૪ વખત કેજરીવાલને મળ્યા છે અને તેમની પાર્ટીમાં સામેલ થશે તેવી આશા છે. એટલું સ્પષ્ટ છે કે તે મારા વિરૂદ્ધ પટિયાલાથી ચૂંટણી લડશે. આવું કરવા માટે તેમનું સ્વાગત છે. તેને લડવા દો.’
ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષની શરૂઆતમાં પંજાબ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કેપ્ટન અમરિંદર સિંહના કહેવા પ્રમાણે ’સિદ્ધુ એક તકવાદી શખ્સ છે. તેઓ મારા અને મારા નેતૃત્વ પર હુમલો કરી રહ્યા છે… તે પોતાના વિશે શું વિચારે છે?’ અમરિંદર સિંહે છેલ્લા થોડા સમયમાં બીજી વખત સિદ્ધુ પર હુમલો કર્યો છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ