દેશની સરકારી વિમાન કંપની એર ઈન્ડિયા અત્યારે ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. અત્યારે કંપની ૫૦ હજાર કરોડના દેવામાં ડૂબેલી છે. સરકારે ૨૦૧૨માં કંપનીને ૨૩ હજાર કરોડની મદદ કરી હતી, તેમ છતા કંપની પર સંકટ છે. આ કારણે એરલાઇન્સ કોસ્ટ કટિંગ કરવા માટે મોટામોટા પગલાં લઈ રહી છે. થોડા સમય પહેલાં એરલાઇન્સે ફ્લાઇટમાં મેગેઝિનની સંખ્યા ઘટાડી દીધી હતી અને ઘરેલુ ફ્લાઇટમાં નોનવેજ મિલ બંધ કરી દેવામાં આવ્યું છે.
જોકે હવે આર્થિક સંકટનો સામનો કરવા કંપનીએ પોતાના ૧૫,૦૦૦ જેટલા કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ આપીને ઘરે બેસાડી દેશે એવા સમાચાર મળ્યા છે. જોકે હાલના તબક્કે એર ઈન્ડિયાના અશ્નિની લોહાણીએ નિવૃત્તિના સમાચારોનું ખંડન કરી દીધું છે. એર ઇન્ડિયા ભારે સંકટમાંથી પસાર થઈ રહી છે ત્યારે કંપનીના વિસ્તરણના પ્લાનિંગને પણ અટકાવી દેવાયું છે. આ નિર્ણયના પગલે એર ઈન્ડિયાએ ૮ બોઈંગ ૭૮૭ એરક્રાફ્ટ્સની ખરીદગીની યોજનાને પણ હોલ્ડ કરી દીધી છે. નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રિય કેબિનેટે ગત મહિને એર ઈન્ડિયાના ખાનગીકરણના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. સરકાર આ એરલાઈન કંપનીના સંપૂર્ણ અથવા આંશિક વેચાણના વિકલ્પો પર કામ કરી રહી છે.મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખર્ચમાં કાપ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના દબાણ હેઠળ છે. આવામાં તે કંપનીને ફરીવાર કોઈ આર્થિક મદદ મળે એવી કોઈ જ શક્યતા નથી.