કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે અને દરરોજ સર્વાધિક મૃત્યુનો નવો રેકોર્ડ બની રહ્યો છે. વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના કારણે ૨૦૨૦ દર્દીઓના મોત થયા હતા. ગત વર્ષે મહામારીની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીનો આ સૌથી વધુ દૈનિક મૃતકઆંક છે. દેશમાં પહેલી વખત એક દિવસમાં જ ૨,૦૦૦થી વધારે લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. આ સાથે જ સક્રિય દર્દીઓની સંખ્યામાં પણ ભારે વધારો થયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં નવા ૨,૯૪,૧૧૫ સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા. આ પણ દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા સંક્રમિતોનો સૌથી ઉંચો આંકડો છે. આ સાથે જ દેશમાં કોરોનાના કારણે મરનારા લોકોની કુલ સંખ્યા વધીને ૧,૮૨,૫૭૦ થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ લોકોની સંખ્યા ૧,૫૬,૦૯,૦૦૪ છે. હાલ દેશમાં ૨૧,૫૦,૧૧૯ દર્દીઓ સારવાર અંતર્ગત છે જે કુલ સંક્રમિતોની સંખ્યાના ૧૩.૮ ટકા જેટલા છે.
કોરોના સંક્રમિતોના સાજા થવાનો દર પણ સતત ઘટી રહ્યો છે અને હવે માત્ર ૮૫ ટકાએ પહોંચ્યો છે. પ્રાપ્ત અહેવાલ પ્રમાણે વાયરસથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને ૧,૩૨,૬૯,૮૬૩ થઈ ગઈ છે. જો કે, કોરોનાથી રાષ્ટ્રીય સ્તરે મૃત્યુ દર ઘટીને ૧.૨૦ ટકા થઈ ગયો છે પરંતુ મહારાષ્ટ્રમાં આ દર ૧.૫ ટકા અને પશ્ચિમ બંગાળમાં ૧.૬ ટકા છે.
મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તરપ્રદેશ સહિત ૧૧ રાજ્યમાં સ્થિતિ નિયંત્રણની બહાર જઈ રહી છે. આ રાજ્યોમાં રેકોર્ડ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૨,૦૯૭, ઉત્તરપ્રદેશમાં ૨૯,૫૭૪, દિલ્હીમાં ૨૮,૩૯૫, કેરળમાં ૧૯,૫૭૭, કર્ણાટકમાં ૨૧,૭૯૪, છત્તીસગઢમાં ૧૫,૬૨૫, રાજસ્થાનમાં ૧૨,૨૦૧, મધ્યપ્રદેશમાં ૧૨,૭૨૭, ગુજરાતમાં ૧૨,૨૦૬, તામિલનાડુમાં ૧૦,૯૮૬, બિહારમાં ૧૦,૪૫૫ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોના સતત હાહાકાર મચાવી રહ્યો છે. અમરાવતીના એક કોરોના સેન્ટરના ૪૦ કર્મચારી કોરોના પોઝિટિવ નીકળ્યા છે. જેમાં ડોક્ટર, નર્સ, સફાઈ કર્મચારી સામેલ છે. આ મામલો સામે આવ્યા બાદ પ્રશાસનની ચિંતા વધી ગઈ છે. મોટાભાગની હોસ્પિટલો આઈસીયુ, વેન્ટિલેટર અને ઓક્સિજન બેડ્સથી ભરાયેલી છે. કોરોના પોઝિટિવ લોકોને હોમ આઈસોલેશનમાં રખાશે.
દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસના ૭૭.૬૭ ટકા કેસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત ૧૦ રાજ્યોમાંથી આવે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આપેલી જાણકારી મુજબ દેશમાં કોરોનાનો પોઝિટિવિટી દર સતત વધી રહ્યો છે. હાલ તે ૧૫.૯૯ ટકા છે. નવા કેસના ૭૭.૬૭ ટકા કેસ જે ૧૦ રાજ્યોમાંથી આવ્યા છે તેમાં કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, ગુજરાત અને રાજસ્થાન પણ સામેલ છે.
આંકડા મુજબ કોવિડ-૧૯થી રિકવર થવાનો રેટ સતત ઘટી રહ્યો છે. જે ૮૫ ટકા પર પહોંચ્યો છે. કોરોનાથી રાષ્ટ્રીય સ્તરે મૃત્યુ દર ૧.૨ ટકા થયો છે. મહારાષ્ટ્રમાં મૃત્યુદર ૧.૫ ટકા અને પશ્ચિમ બંગાળમાં ૧.૬ ટકા છે.