અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળના પ્રમુખ દિનેશ અણઘણ પારણા કરશે. વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુ તરફથી મહામંડળના પ્રશ્નોના નિરાકરણ માટે આશ્વાસન આપવામાં આવતા ઘરણાં પૂર્ણ કરાશે. અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળ સાથે સંકળાયેલા ૧૧૦૦ જેટલા ટુર ઓપરેટરને થઈ રહેલી સમસ્યાને લઈને સતત સરકારને રજૂઆત કરાઈ રહી હતી.
મહામંડળની રજુઆત સરકારે ધ્યાને ના લેતા પ્રમુખ દિનેશ અણઘણ ૧૮ એપ્રિલથી ધરણાં પર બેઠા હતા. આખરે મહામંડળને મંત્રી આર.સી.ફળદુ તરફથી મુખ્ય ૬ પ્રશ્નોના નિરાકરણની બાંહેધરી અપાઈ છે. ગઈકાલે ટેલિફોનિક વાતચીતમાં મંત્રી આર.સી.ફળદુએ મહામંડળને જણાવ્યું હતું કે સરકારને તમારા પ્રશ્નો અંગે રજુઆત કરી છે. આગામી ગુરુવારે મળનારી કેબિનેટ બેઠકમાં મહામંડળના પ્રશ્નોની સીએમ રૂપાણીને રજૂઆત કરીને ચર્ચા પણ કરાશે.
મંત્રી આર.સી.ફળદુ તરફથી મહામંડળના અગ્રણીઓને ગુરુવારે બપોરે ૧૨ વાગે ગાંધીનગર ખાતે આમંત્રણ આપવામાં આવ્યું છે. જો ગુરુવારે કેબિનેટ બેઠક બાદ પણ મહામંડળના પ્રશ્નોનું નિરાકરણ ના આવે તો મહામંડળ દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવશે. મહામંડળના પ્રમુખ દિનેશ અણઘણે જણાવ્યું કે ગુરુવારે જો અમારા મુખ્ય ૬ પ્રશ્નો હલ નહીં થાય તો જે તે જિલ્લા આરટીઓ પર અમે અમારી સ્લીપર કોચ, મીની બસ, ટેમ્પો ટ્રાવેલ બસો જમા કરાવી દઈશું.મહામંડળના પ્રમુખે જણાવ્યું કે, ૨૬ એપ્રિલે રાજ્યની તમામ ૧૧,૦૦૦ જેટલી બસો આરટીઓમાં જમા કરાવીશું.
પ્રત્યેક ટુર ઓપરેટરો એક બસ પેટે અંદાજે ૨૫ હજાર રૂપિયાનો ટેક્સ જમા કરાવે છે, રાજ્યમાં અંદાજે ૧૧,૦૦૦ જેટલી બસો હાલ માર્ગો પર દોડે છે, છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીને કારણે અમે તમામ લોકો પરેશાન છીએ. છેલ્લા ૧૧ મહિનાથી કોઈ ધંધો જ નથી, છતાંય અમને હજુ કોઈ મદદ કરાઈ નથી. જેમની પાસે આરટીપીસીઆર રિપોર્ટ નથી એવા લોકો પાસેથી રિપોર્ટના બદલે ૩૦૦ રૂપિયા બોર્ડર પર પડાવવામાં આવે છે.