દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયા સાથે તણાવ દૂર કરી સંબંધો સુધારવા અને વર્ષ ૧૯૫૦ના યુદ્ધ દરમિયાન અલગ થયેલા પરિવારોને એકબીજાને મળીને વાતચીત કરવાની પરવાનગી આપવા પ્રસ્તાવ રજૂ કર્યો છે. વર્ષ ૨૦૧૫ બાદ પ્રથમવાર દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયા સમક્ષ ચર્ચાનો પ્રસ્તાવ મુક્યો છે. દક્ષિણ કોરિયામાં મૂન જે ઈન રાષ્ટ્રપ્રમુખ પદે ચૂંટાયા બાદ તેમ જ ઉત્તર કોરિયાએ તેની પ્રથમ આંતરખંડીય મિસાઈલનું પરીક્ષણ કર્યા બાદ વાટાઘાટો યોજવાનો આ પ્રથમ પ્રયાસ છે. દક્ષિણ કોરિયાએ પૂર્વ સંધિ વખતે જે ગામને વાટાઘાટો માટે પસંદ કર્યું હતું તે પાન્મુન્જોમમાં જ આગામી વાટાઘાટો યોજવાની તૈયારી દર્શાવી હતી.
જ્યારે આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા રેડક્રોસે પહેલી ઓગસ્ટે વાટાઘાટો યોજવા બંને દેશોને ઓફર કરી છે. તેમણે પણ પાન્મુનજોમને જ ચર્ચાના સ્થળ તરીકે પસંદગી આપી છે.
જો બંને દેશની સરકાર આ પ્રસ્તાવ પર સહમતિ આપશે તો, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે શાંતિ માટેની આ પ્રથમ સત્તાવાર મુલાકાત ગણાશે.દક્ષિણ કોરિયાએ પ્રસ્તાવ રજૂ કરતા જણાવ્યું કે, બંને દેશોની જમીની સરહદો પર પ્રવર્તતી રહેલી તંગદિલી હળવી થાય તે માટે અમે આ વાટાઘાટનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
જ્યારે રેડક્રોસ સોસાયટીએ જણાવ્યું છે કે, તેઓ આ મુદ્દે સકારાત્મક પરિણામની અપેક્ષા રાખે છે. કારણ કે, વર્ષ ૧૯૫૦થી ૧૯૫૩ દરમિયાન બંને દેશ વચ્ચેના યુદ્ધને કારણે અનેક પરિવાર અલગ પડી ગયાં હતાં. તેમને ફરી એક કરવા અથવા મુલાકાત ગોઠવવામાં આવે જેથી તેઓ પરસ્પર મળી શકે. જો આ ચર્ચા સાર્થક થશે તો લાખો પરિવાર ફરીવાર તેમના સ્નેહીજનોને મળી શકશે.
ઉલ્લેખનીય છે કે, અનેક પ્રૌઢ અથવા વૃદ્ધ લોકો પોતાના પરિવારને મળ્યાં વિના જ મૃત્યુ પામ્યાં છે. જેથી હવે રેડક્રોસ ઈચ્છે છે કે, આજના યુવાનો તેમના પરિવારને મળે અને બંને દેશ વચ્ચે તંગદિલી હળવી બને.