હરિદ્વારના મહાકુંભમાં આજે સોમવારે બીજું પરંપરાગત સ્નાન યોજાયું. આ સ્નાનમાં હજારો અખાડાઓના સાધુ-સંતો આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. આટલી બધી ભીડ હોવાને કારણે કોવિડ પ્રોટોકોલના લીરેલીરા ઉડાવાયા હતા. આ દરમિયાન ઘણા સાધુ-સંતો કોવિડ પોઝિટિવ મળી આવ્યા હતા. તેમ છતાં ઉત્તરાખંડ પોલીસ ગાઈડલાઈન્સનું પાલન કરાવવા માટે અક્ષમ રહી હતી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તંત્રએ ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે તમામ વ્યવસ્થા કરી હતી. ૫૦ હજાર લોકોના ટેસ્ટ કરાયા હતા, જેમાંથી ઘણા સાધુઓ પોઝિટિવ મળી આવ્યા હતા. અહીં લોકો પાસે કોવિડની ગાઈડલાઈન્સનું પાલન કરાવવું એક કસોટી રૂપ નીવડી શકે છે.જે પ્રમાણે ભીડ નજરે ચઢી રહી છે, લોકોએ કોરોના મહામારીને ભુલાવીને બેદરકારી દાખવી હતી. મોટા ભાગના લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર નજરે પડ્યા હતા. સ્થાનિક પોલીસકર્મીના જણાવ્યા પ્રમાણે, પહેલાં અખાડાઓને પરંપરાગત સ્નાન કરવા માટે અનુમતિ આપવામાં આવી હતી. ત્યારે ૭ વાગ્યા પછી અન્ય લોકોને સ્નાન કરવા દેવામાં આવ્યું.કુંભના મેળામાં કાર્યરત પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અમે લોકોને સતત કોવિડની ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે આગ્રહ કરી રહ્યા છે, પરંતુ મોટા પ્રમાણમાં ભીડ હોવાને પગલે લોકો પાસે દંડ વસૂલ કરવો પણ ઘણો કઠિન છે. આ તમામ કિનારાઓ પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અનિવાર્ય બનાવવું ઘણું મુશ્કેલ છે. અગર અમે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવીશું તો ભાગદોડ મચી જવાનો ભય રહેલો છે.આ સમય દરમિયાન એક જ દિવસમાં ઉત્તરાખંડમાં કોરોનાના ભયજનક આંક સામે આવ્યા હતા. ગત ૨૪ કલાકમાં ૧૩૩૩ નવા સંક્રમિતો મળી આવ્યા હતા, જેમાંથી ૮ લોકોનાં મોત નીપજ્યાં હતાં. દેહરાદૂનમાં ૫૮૨, હરિદ્વારમાં ૩૮૬, નૈનિતાલમાં ૧૨૨ કોરોનાના નવા દર્દી મળી આવ્યા હતા. હરકી પૌરી પર રવિવારે સ્થાનિક પરીક્ષણ હાથ ધરાતા ૯ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.