પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે હુગલીના દેબાનંદપુરમાં એક ચૂંટણી સભા સંબોધિત કરતાં કહ્યું કે, બંગાળ વિધાનસભા ચૂંટણી એક પગે જીતશે અને ભવિષ્યમાં બે પગે દિલ્હીમાં જીત પ્રાપ્ત કરશે. ગયા મહિને નંદીગ્રામમાં મમતા બેનર્જીના પગમાં ઇજા પહોંચી હતી અને ત્યારથી જ તેઓ ઇજાગ્રસ્ત પગે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. મમતા બેનર્જી ચૂંટણી પ્રચાર માટે વ્હીલચેરનો ઉપયોગ કરે છે.
રેલી સંબોધતાં મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના લાંબા ચૂંટણી કાર્યક્રમને લઇને પણ નિશાન સાધતાં કહ્યું કે, રાજ્યમાં આઠ તબક્કામાં ચૂંટણીની કોઇ જરૂર નહોતી, ભાજપના કહેવાથી આઠ તબક્કામાં મતદાન કરાવવામાં આવ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે, હાલ કોરોનાની સ્થિતિને જાેતાં ચૂંટણી વહેલી તકે પૂરી કરી લેવી જાેઇતી હતી.
રેલીમાં મમતા બેનર્જીએ ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી લડવા માટે સ્થાનિક ઉમેદવારો પણ મળી રહ્યાં નથી. ભાજપે તેના તમામ ઉમેદવાદ ટીએમસી અથવા સીપીએમ પાસેથી ઉધાર લીધા છે. તેમણે ભાજપ પર આરોપ મૂક્યો કે, ભાજપ ચૂંટણીમાં પાણીની જેમ પૈસા વહેવડાવી રહ્યો છે. મમતાએ કહ્યું કે, જે સરખી રીતે સોનાર બાંગ્લા પણ નથી બોલી શકતાં તે બંગાળ પર શાસન કરી શકતાં નથી.