બંગાળમાં બીજા તબક્કાના મતદાનથી એક દિવસ પહેલા તૃણમૂલ કૉંગ્રેસની ચીફ મમતા બેનર્જીએ આજે બુધવારના વિપક્ષી દળોના નેતાઓને ચિઠ્ઠી લખી છે. આ ચિઠ્ઠી દ્વારા મમતાએ લોકશાહી બચાવવા માટે વિપક્ષી દળોને એક થવાની અપીલ કરી છે. નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર મગંળવાર સાંજે ખત્મ થયા બાદ ટીએમસી નેતા મમતા બેનર્જીએ આજે બીજેપી સિવાયના નેતાઓને વ્યક્તિગત રીતે પત્ર લખ્યો છે.
મમતા બેનર્જીએ ચિઠ્ઠીમાં લોકશાહીને બચાવવા માટે તમામ વિરોધી દળોને બીજેપીની વિરુદ્ધ એક થવાની વાત કહી છે. મમતા તરફથી વિપક્ષના ૧૫ નેતાઓને આ પત્ર લખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, ‘મારું માનવું છે કે લોકશાહી અને સંવિધાન પર બીજેપીના હુમલાની વિરુદ્ધ એક થવાનો અને પ્રભાવશાળી સંઘર્ષ કરવાનો સમય આવી ગયો છે.’ મમતાએ જે નેતાઓને પત્ર લખ્યો છે તેમાં કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓના નામ મુખ્ય છે. દેશના ૫ મુખ્યમંત્રીઓ સહિત અનેક નેતાઓને પત્ર લખવામાં આવ્યો છે.
કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ઉપરાંત મમતા બેનર્જીએ એનસીપી નેતા શરદ પવાર, ડીએમકે પ્રમુખ એમ.કે. સ્ટાલિન, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, આરજેડી નેતા તેજસ્વી યાદવ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન રેડ્ડી ઉપરાંત કે.એસ. રેડ્ડી, ફારુક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી અને શ્રી દીપાંકર ભટ્ટાચાર્યને પણ પત્ર લખ્યો છે.
આજે બીજા તબક્કાની ચૂંટણીમાં ૩૦ સીટો પર મતદાન
બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની ૩૦ સીટો પર ૧૭૧ ઉમેદવારોના કિસ્મતનો નિર્ણય કાલે ગુરૂવારના થશે. ૩૦ સીટોમાં દક્ષિણ પરગણાની ૪, પશ્ચિમ મેદિનીપુરની ૯, બાંકુડાની ૮ અને પૂર્વ મેદિનીપુરની ૯ સીટો સામેલ છે. ૫ વર્ષ પહેલા ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણીમાં આ ૩૦ સીટોમાંથી ટીએમસીએ ૨૨ એટલે કે ૭૩ ટકા સીટો પર જીત મેળવી હતી, પરંતુ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સ્થિતિ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ અને બીજેપીએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ.