દિલ્હી સરકારના મંત્રીઓના વિભાગોમાં આવનાર દિવસોમાં ફેરફાર થઇ શકે છે. સરકાર દિલ્હીને સ્પેશિયલ ટ્યુરિઝમ સેન્ટર તરીકે રજૂ કરવા માટે રુપરેખા તૈયાર કરી રહી છે. ટ્યુરિઝમ સેક્ટર સરકારની પ્રાથમિકતા પૈકીની એક છે. આને ધ્યાનમાં લઇને ટ્યુરિઝમ વિભાગની જવાબદારી હવે નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને સોંપવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.
સરકારી સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, ટ્યુરિઝમ સેક્ટર માટે દિલ્હી સરકારની અનેક મોટી યોજનાઓ છે. જેને ટુંક સમયમાં જ લાગૂ કરવામાં આવનાર છે. આવી સ્થિતિમાં મનિષ સિસોદિયાને આ કામગીરી સોંપવામાં આવી શકે છે. નાયબ મુખ્યમંત્રીની પાસે હાલમાં નાણા મંત્રાલય પણ છે. તેમને આ જવાબદારી સોંપવાથી ટ્યુરિઝમ માટે બનાવવામાં આવેલી યોજનાઓને નાણા વિભાગ પાસેથી વહેલીતકે મંજુરી મળી શકશે.સાથે સાથે ટ્યુરિઝમ સેક્ટરના પ્રોજેક્ટો ઉપર સીધી નજર રાખી શકશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ટૂંક સમયમાં જ મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યા છે.