મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થાઓમાં ફી નિયમન વિધેયક અંગેના અમલ માટે શાળાઓને ઝોનલ કમિટીઓએ આપેલા નિર્ણય સામે જે તે શાળાસંચાલકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી શકે તે માટે રાજ્યકક્ષાની ફી રીવિઝન સમિતિની રચના કરી છે. સમિતિના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ ડી. એ. મહેતાની નિમણૂક કરવામાં આવી છે.રાજ્યમાં ચાર ઝોન અમદાવાદ, રાજકોટ, સૂરત, વડોદરા એમ ઝોનલ ચાર સમિતિઓ જાહેર કરવામાં આવી હતી.પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શાળા માટે રૂ. ૧પ હજાર, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહ માટે રૂ. રપ૦૦૦ અને વિજ્ઞાન પ્રવાહ માટે રૂ. ર૭૦૦૦ ફીના કટ ઓફ ધોરણથી વધુ ફી લેવા માગતી શાળાઓએ પોતાની દરખાસ્ત ચાર પૈકી સંબંધિત ઝોનલ કમિટી સમક્ષ મંજૂર કરવાનું રાજ્ય સરકારે ઠરાવ્યું હતું. આ ઝોનલ સમિતિઓ તે પ્રપોઝલ ઉપર વિચારણા કરી જે આખરી નિર્ણયના હુકમો કરે તેની સામે પણ જો કોઇ સંસ્થાને વાંધો-રજૂઆત હોય તો નિર્ણયના ર૧ દિવસમાં રાજ્યકક્ષાની આ રીવિઝન સમિતિ સમક્ષ રજૂઆત કરી શકશે. રીવિઝન સમિતિમાં નોમિનેટેડ સભ્યો તરીકે સ્વનિર્ભર શાળા સંચાલકમંડળના પ્રતિનિધિ તરીકે ગુણવંત આર. પટેલ, ચાર્ટડ એકાઉન્ટન્ટ તરીકે જયેશભાઇ શેરદલાલની નિમણૂક કરી છે. આ ઉપરાંત શિક્ષણના અગ્રસચિવ અને નાણા વિભાગના અધિક મુખ્ય/ અગ્રસચિવનો પણ સમિતિમાં સરકારી સભ્યો તરીકે રહેશે.
આ ફી રીવિઝન સમિતિના સભ્ય સચિવ તરીકે પ્રાથમિક-પૂર્વ પ્રાથમિક શાળાઓની બાબતો માટે પ્રાથમિક શિક્ષણ નિયામક તથા માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓની બાબતો માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ રહેશે.