ગીર-સોમનાથ જિલ્લામાં જાન્યુઆરી-૧૭ થી આજ દિન સુધી ૧૨ સ્વાઇન ફ્લુ પોઝીટીવ કેસ નોંધાયા છે. જે પૈકી વેરાવળ શહેરમાં એક અને હિરાકોટ બંદરનાં એક વ્યક્તિનું મૃત્યું થયું છે. ગીર સોમનાથ જિલ્લામાં રાજ્ય સરકારની ચુસ્ત ગાઇડ લાઇન ફોલો કરી સ્વાઇન ફ્લુ તથા મેલેરીયાનાં નિયંત્રણ માટે માત્ર સરકારી હોસ્પિટલનાં તબિબો નહિં પરંતુ ખાનગી પ્રેકટીશ કરતા ગણમાન્ય તબિબો પણ આ રોગને નિયંત્રણમાં લાવવાં સાથે અટકાવવાં પ્રતિબધ્ધ થયા છે. વેરાવળ સ્થિત બ્લડબેન્ક ખાતે આજે ઇન્ડીયન મેડીકલ એસો. અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા સ્વાઇન ફ્લુ અને મેલેરીયા નિયંત્રણ માટે યોજાયેલ વર્કશોપમાં સરકારી હોસ્પિટલ અને ખાનગી પ્રેકટીશ કરતા વેરાવળનાં તબિબોએ સમુહ ચિંતન કરી ગીર-સોમનાથ જિલ્લામાં આ રોગોનાં નિયંત્રણ માટે સાથે મળીને કાર્યરત રહેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભરત આચાર્યનાં અનુરોધને સ્વીકાર્યો હતો.
ગીર-સોમનાથમાં આ વર્ષે સ્વાઇન ફ્લુનો પ્રથમ કેસ માર્ચમાં નોંધાયો હતો અને અત્યાર સુધીમાં વેરાવળ શહેરમાં-૬, ગ્રામ્ય-૨, સુત્રાપાડા-૨, કોડીનાર-૧ અને તાલાળા-૧ એમ ૧૨ કેશ નોંધાયા છે. ગીરગઢડા અને ઉના તાલુકામાં એક પણ કેસ નોંધાયો નથી. તે બાબતને આવકારી વધુ સજાગતા કેળવવા વર્કશોપમાં જિલ્લા એપેડેમીક ઓફીસર ડો.કે.બી.નિમાવતે પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશનથી માર્ગદર્શન આપ્યું હતું. વેરાવળ આઇ.એમ.એ.નાં પ્રમુખ ડો.પટેલ ઉપરાંત ડો.રામાવત, ડો.પરીખ, ડો.ચૈાહાણ, ડો.લાખાણી ડો.સીરોદરીયા સહિત આઇ.એમ.એ.નાં સભ્યો ઉપરાંત સરકારી હોસ્પિટલનાં ડો.બારડ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જીતેન્દ્ર બામરોટીયાએ સ્વાઇન ફ્લુ તથા મેલેરીયાનાં કેસમાં દવાની ઉપલબ્ધતા, દર્દીઓને જાગૃત કરવા યોગ્ય માર્ગદર્શન સહિતની બાબતો અંગે તલસ્પર્શી મંથન કરી ગીર-સોમનાથ જિલ્લાનાં લોકોનાં આરોગ્ય માટે લોકો સહિત સૈાને સહયોગી બનવા પણ અનુરોધ કર્યો હતો.