રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષી એકતાના પ્રયાસને મોટો ફટકો આપ્યા બાદ હવે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ પોતાનો અલગ અભિપ્રાય રજૂ કરવાની તૈયારીમાં છે. મળેલી માહિતી મુજબ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારને લઇને મંગળવારના દિવસે યોજાનાર બિન એનડીએ પક્ષોની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય નીતિશ કુમાર કરી ચુક્યા છે. આ અગાઉ નીતિશ કુમારે બિન ભાજપ પક્ષોની તરફથી રાષ્ટ્પતિ પદના ઉમેદવારને લઇને મળેલી બેઠકમાં પણ ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો હતો. જો કે હાલમાં જેડીયુએ સાફ શબ્દોમાં કહ્યુ છે કે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પાર્ટી યુપીાના ઉમેદવારને સાથ આપી શકે છે. અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે મુખ્યપ્રધાન હાલમાં વાયરલ ઇન્ફેક્શનમાંથી બહાર નિકળવાના પ્રયાસ કરી રહ્યા છે. મંગળવારના દિવસે બિન ભાજપ પક્ષોની ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગે ચર્ચા કરવા બેઠક મળનાર છે. આવતીકાલે જ જેડીયુ દ્વારા પણ પોતાના ધારાસભ્યોની એક બેઠક પટણામાં બોલાવી છે. જેમાં સાંસદો પણ હાજર રહેનાર છે. આ ઉપરાંત બિહાર સરકારમાં ગઠબંધન સાથી પક્ષ આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવ દ્વારા પણ હાલમાં આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યુ છે. લાલુ અને તેમના પરિવારના સભ્યો પર ઇડી અને સીબીઆઇ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. ભ્રષ્ટાચાર અને અન્ય મામલે આક્ષેપો થઇ રહ્યા છે. ચૂંટણીને લઇને પહેલાથી જ બિહારના રાજકારણમાં ગરમી છે. નીતિશકુમારની તબિયત હાલ સારી નથી. ચાર દિવસ બાદ ગઇકાલે જ રાજગીરથી નીતિશકુમાર પટણા પહોંચ્યા હતા. જો કે, કોઇ નિવેદન જારી કર્યું ન હતું.
પાછલી પોસ્ટ