અમદાવાદ શહેરમાં સોમવારના રોજ બપોરના સુમારે માત્ર બે કલાકના સમયમાં પડેલા ૩.૫ ઈંચ વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં એક અંદાજ મુજબ ૫૦ કીલોમીટરથી પણ વધુના રસ્તાઓ ધોવાયા હોઈ જવાબદાર કોન્ટ્રાકટરો સામે વિજિલન્સ તપાસ કરવાની સાથે તેમના પેમેન્ટ રોકવા પણ વિપક્ષ કોંગ્રેસ દ્વારા માગણી કરવામાં આવી છે.આ અંગે વિપક્ષનેતા દિનેશ શર્માએ કહ્યુ કે,શહેરમાં ભારે વરસાદને પગલે અનુપમ બ્રીજથી હાટકેશ્વર, જમાલપુરથી સરદારબ્રીજ, જોધપુર વોર્ડમાં રામદેવનગરથી હરણ સર્કલ, જીવરાજ ચાર રસ્તાથી બુટભવાની મંદિર, ગોરનાકુવાથી જશોદાબ્રીજ કેનાલ સુધી હમણાં બે માસ અગાઉ નવો બનાવવામાં આવેલો રસ્તો ધોવાઈ જવા પામ્યો છે.આ ઉપરાંત નવરંગપુરા પોલીસ સ્ટેશનથી અખબારનગર સર્કલ તરફ જતો સમાંતર રોડ, ઉસ્માનપુરા ગામથી એલિસબ્રીજ સુધીનો રિવરફ્રન્ટ સુધીનો રસ્તો ધોવાઈ જવા પામ્યો છે.આ સાથે જ ઈન્કમટેકસ પાસે નવા બની રહેલા ફલાયઓવરબ્રીજના સમાંતર બનાવવામાં આવેલો સર્વિસ રોડ પણ ધોવાઈ જવા પામ્યો છે.વસ્ત્રાપુર વિસ્તારમાં હિમાલય મોલથી વસ્ત્રાપુર લેક તરફનો, એસ.જી.હાઈવે ને સમાંતર બનાવવામાં આવેલા અનેક રસ્તાઓ ધોવાઈ જવા પામ્યા છે.વિપક્ષનેતાએ આ રોડના નબળા કામમાં કોન્ટ્રાકટરો દ્વારા બિટયુમીનની ચોરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરતા કહ્યુ છે કે,આ રસ્તાઓ જો ગેરંટી પીરીયડમાં બનાવવામાં આવેલા હોય તો કોન્ટ્રાકટરો પાસે જ કામ કરાવો તમામની સામે વિજિલન્સ તપાસ કરો અને તેમના પેમેન્ટ રોકવા પણ અમારી માગણી છે.
પાછલી પોસ્ટ