Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર :- જન્મ અને બાળપણ – શિક્ષણ

જન્મ અને બાળપણ
ભારત રત્ન ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ૧૪મી એપ્રિલ ૧૮૯૧માં મહુ મધ્યપ્રદેશ (તે સમયનાં સેન્ટ્રલ પ્રોવિન્સ) મુકામે એક સામાન્ય અછુત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. તેમનાં પિતાનું નામ રામજી માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર એ રામજી સકપાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતાં. ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદ્દા પર હતાં. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથીજ બાળક ભીમરાવમાં માતા-પિતાના સંસ્કારો ઊતર્યા. જ્યારે ભીમરાવ ૬ વર્ષની ઉંમરના થયા, ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું.

શિક્ષણ
ભીમરાવની પ્રાથમિકિ કેળવણીની શરૂઆત થઈ. ભીમરાવના પિતાની અટક સકપાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રનાં રત્નાગીરી જિલ્લાનાં અંબાવાડે ગામના વતની હતા તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખૂબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી. શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાના લીધે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું. ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફીન્સ્ટન હાઈસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી. મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન ‘રામી’ નામની બાળા સાથે થયાં. જેનું નામ ભીમરાવે પાછળથી રમાબાઈ રાખ્યું. ભીમરાવના કૉલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલ્ફીન્સ્ટન કૉલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ.૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા પાસ કરી. સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણૂંક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી વડોદરામાં યુવાન ભીમરાવે આભડછેટના લીધે ખૂબ જ હેરાન થવું પડ્યું. આ સમયે ૨ ફેબ્રુઆરી, ૧૯૧૩ના રોજ ભીમરાવના પિતા રામજી સકપાલનું અવસાન થયું. ભીમરાવે નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાના મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભીમરાવને ખૂબજ દુઃખ થયું. આ સમયે વડોદરાના મહારાજાશ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાંક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માંગતા હતાં. ભીમરાવની એ માટે પસંદગી થઈ. આમ સને ૧૯૧૩ના જુલાઈના ત્રીજા અઠવાડિયામાં ભારતનો એક અછૂત વિદ્યાર્થી વિદ્યાના ગહન શિખરો સર કરવા ન્યૂયોર્ક પહોંચી ગયો. અમેરિકાની પ્રખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરૂ કરી અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે પ્રાચીન ભારતીય વ્યાપાર વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલંબિયા યુનિવર્સિટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ સતત અભ્યાસ ચાલુ રાખઈ ૧૯૧૬માં એમણે પીએચ.ડી. માટે, ‘બ્રિટિશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ’ વિષય ઉપરનો મહાનિબંધ કોલંબિયા યુનિવર્સિટીને રજૂ કરી દીધો અને સર્વોચ્ય એવી પીએચ.ડી.ની ડિગ્રી મેળવવા ભાગ્યશાળી બન્યાં. આમ આંબેડકર હવે ડૉ. આંબેડકર બની ગયા.
હજુ એમની જ્ઞાન માટેની ભૂખ સંતોષાયેલી નહોતી. સને ૧૯૧૬માં તેઓ અમેરિકાથી ઈંગ્લેન્ડ ગયા અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકૂળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું. ઈંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણૂંક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. પરંતુ આભડછેટ અને અપમાની જેવી મુશ્કેલીઓને લીધે તેઓ વડોદરામાં સ્થિર થઈ શક્યા નહીં. ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાય લીધી.
ડૉ. આંબેડકર હિંમત હારી જાય તેવા કાચાપોચા નહોતા. તેમના પ્રયત્નોને સફળતા મળી. ૧૯૧૮માં મુંબઈની સિડનહામ કૉલેજમાં તેઓ પ્રોેફેસર તરીકે જોડાયા. આર્થિક ભીંસ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉ. આંબેડકર ઈંગ્લેન્ડ ગયા અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો. ડૉ. આંબેડકરની ઈંગ્લેન્ડની સફર પહેલાં તેમના પત્ની રમાબાઈએ ૧૯૨૦માં એક બાળકને જન્મ આપ્યો, જેનું નામ યશવંત રાખવામાં આવ્યું. બીજા બે સંતાનો થયાં પરંતુ તે જીવી શક્યા નહીં. ઈ.સ.૧૯૨૩માં ડૉ. આંબેડકર બેરિસ્ટર થયા. આજ વખતે ડૉ. આંબેડકરને તેમના મહાનિબંધ ‘રૂપિયાનો પ્રશ્ન’ એ વિષય ઉપર લંડન યુનિવર્સિટીએ ‘ડૉક્ટર ઓફ સાયન્સ’ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ. આંબેડકર જર્મની ગયા અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સિટીમાં વિદ્યાભ્યાસ શરૂ કર્યો. પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહીં તેમને ભારત પાછા ફરવું પડ્યું.
જૂન ૧૯૨૮માં ડૉ. આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લૉ કૉલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા. તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતાં. તેઓ વિદ્યાર્થીઓમાં ઘણાંજ પ્રિય થયા. આ સમયે ‘સાયમન કમીશન’ને મદદરૂપ બ્રિટિશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી હતી. તા. ૩ ઓગસ્ટ ૧૯૨૮માં સરકારે ડૉ. આંબેડકરને મુંબઈની કમિટિમાં નિમ્યા. મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉ. આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો. ૨૩ ઑક્ટોબર ૧૯૨૮ના રોજ ડૉ.આંબેડકરે ‘સાયમન કમીશન’ સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી. આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપ્ના કરી. મજૂર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યાં અને એમના હક્કો તથા સગવડો બાબતમાં ઘણાંજ પ્રયત્નો કર્યાં.

ક્રમશઃ

Related posts

ગુરૂ કોને ગણવા અને ગુનેગાર કોને ગણવા

aapnugujarat

આજનું જ્ઞાન

aapnugujarat

વિરમગામના પુંજાભાઈ મારવાડી રામદેવપીરના નોરતામાં ખાય છે લીલા મરચાની ફરાળ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1