પુડ્ડુચેરીમાં આજે કોંગ્રેસ સરકારનું પતન થયું છે. મુખ્યમંત્રી નારાયણ સામી વિધાનસભામાં બહુમત સાબિત કરી શક્યા નથી. કોંગ્રેસ પાસે તેના ૯, ડીએમકે ના ૨ અને એક અપક્ષ ધારાસભ્યનું સમર્થન છે. મુખ્યમંત્રી નારાયણ સામીએ કહ્યું છે કે, પૂર્વ એલજી કિરણ બેદી અને કેન્દ્ર સરકારે વિપક્ષ સાથે મળીને અમારી સરકાર પાડવાનો પ્રયત્ન કર્યો છે. અમારા ધારાસભ્યો અમારી સાથે રહ્યાં હોત તો સરકાર પાંચ વર્ષ સુધી ચાલતી.તેમણે વધુમાં કહ્યું છે કે, દ્રમુક અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી હતી અને ત્યારબાદ ઘણી ચૂંટણી યોજાઈ જેમાં જીત મેળવી છે આનાથી એ વાત તો સ્પષ્ટ થઈ જાય છે પ્રજા અમારી સાથે છે અને તેમનો વિશ્વાસ અકબંધ છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાજકીય ઊથલપાથલ વચ્ચે રાજ્યના બે દિવસની મુલાકાત કરી હતી, પણ એ પાર્ટીને નુકસાન થવાથી ન બચાવી શક્યા. અહીં સરકારનો કાર્યકાળ ૮ જૂને પૂરો થવાનો છે. રાજ્યમાં આ વર્ષે એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જોકે હાલ તારીખ નક્કી નથી.