કોરોનાની મહામારીને કારણે ધોરણ ૨થી૮ના વિદ્યાર્થીઓ માટે હોમ લર્નિંગથી શૈક્ષણિક કાર્ય ચાલે છે ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ સી.આર.સી.ની ૧૦ સરકારી પ્રાથમિક શાળાઓ દ્વારા ધોરણ ૨ થી ૮ના ૧૭૪૬ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ટી.વી., લેપટોપ, કમ્પ્યૂટર, ટેબલેટ,એન્ડ્રોઇડ મોબાઇલ ફોન વગેરે જેવી ઉપલબ્ધ ડિજિટલ સામગ્રી દ્વારા અને ડીડી ગિરનાર શૈક્ષણિક કાર્યક્રમો, વર્ચ્યુઅલ ક્લાસ, શેરી શિક્ષણ તેમજ વિદ્યાર્થીઓના ઘરે રૂબરૂ મુલાકાત લઈને પ્રથમ સત્રના પ્રારંભથી જ શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના ડિજિટલ લર્નિંગ માટે ૫૮ વૉટ્સએપ ગ્રુપ બનાવી ૫૪ શિક્ષકો દ્વારા તેમને રોજે રોજ જરૂરી શૈક્ષણિક સામગ્રી,શૈક્ષણિક વીડિયો, પ્રવૃત્તિઓ વગેરે કલસ્ટર લેવલેથી અને શાળા કક્ષાએથી આપવામાં આવી રહ્યા છે. લાડોલ ક્લસ્ટર ક્ક્ષાએથી જ ધોરણ ૩થી૮ ના ૧૫૧૫ જેટલા વિદ્યાર્થીઓનું વિવિધ વિષયોમાં ઓનલાઇન ડિજિટલ કસોટીઓ દ્વારા જુલાઈ માસથી જ સતત મૂલ્યાંકન પણ થઇ રહ્યું છે. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને રોજે રોજ ફોન કરી માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ સમગ્ર કાર્યને વધુ અસરકારક બનાવવા તેમજ વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષીશિક્ષણ આપવાના હેતુસર જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીની પ્રેરણા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. ગૌરાંગ વ્યાસ તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પુલકિત જોશીના માર્ગદર્શન હેઠળ લાડોલ ક્લસ્ટરની ૧૦ શાળાઓના ધોરણ ૧થી૮ના ૧૯૬૬ વિદ્યાર્થીઓ માટે સજ્જતા વર્ધક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે.રાજ્યમાં સૌ પ્રથમ અમલમાં મુકાયેલ આ નવતર પ્રોજેક્ટ હેઠળ હોમ લર્નિંગ અંર્તગત લાડોલ ક્લસ્ટરની ૧૦ પ્રાથમિક શાળાઓ દ્વારા ગામના વિવિધ મહોલ્લા, ખુલ્લા પરિસર અને શેરીઓમાં ૧૬૫ સજ્જતા વર્ધક કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.આ સજ્જતા વર્ધક કેન્દ્રો જેમાં ક્લસ્ટર કક્ષાએથી અપાયેલ માર્ગદર્શન મુજબ લાડોલ કુમાર શાળા દ્વારા ૧૫, લાડોલ કન્યાશાળા દ્વારા ૧૬,માલોસણ પ્રા.શાળા દ્વારા ૨૦, કરશનપુરા પ્રા.શાળા દ્વારા ૨૦, ઇભરામપુરા પ્રા.શાળા દ્વારા ૨૨, મહાદેવપુરા(મ)પ્રા.શાળા દ્વારા ૧૪, હાથીપુરા પ્રા.શાળા દ્વારા ૨૧, અમરપુરા પ્રા.શાળા દ્વારા ૨૧,દોલાતિયાપુરા(ખ) પ્રા.શાળા-૧ દ્વારા ૧૦, એમ.બી.ટ્રસ્ટ,લાડોલ (ઉચ્ચ.પ્રા.વિભાગ) દ્વારા ૬ સજ્જતા વર્ધક કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. દરેક ધોરણના વિદ્યાર્થીઓને ૧૦થી૧૨ની નાની નાની ટુકડીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે.દરેક સજ્જતા વર્ધક કેન્દ્રમાં ૧૦થી૧૨ વિદ્યાર્થીઓની એક ટુકડી એ મુજબ પ્રત્યેક ધોરણ માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા સોશ્યલ ડિસ્ટન્ટ,માસ્ક અને અન્ય તમામ જરૂરી સુવિધાઓ સાથે ઉભી કરવામાં આવી છે.સજ્જતા વર્ધક કેન્દ્રો માટે સમયપત્રક બનાવી ક્લસ્ટરના ૭૫ શિક્ષકો દ્વારા રોજે રોજ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવી રહ્યું છે.પ્રત્યેક શિક્ષક દ્વારા રોજ અલગ અલગ કેન્દ્રો ઉપર ત્રણ તાસ લેવામાં આવે છે.પ્રત્યેક તાસ એક કલાકનો હોય છે.lશાળાઓ બંધ છે છતાં લાડોલ ક્લસ્ટરના તમામ શિક્ષકો ખૂબ ઉત્સાહપૂર્વક ૧૬૫ સજ્જતા વર્ધક કેન્દ્રોમાં વિધાર્થીઓને ખૂબ સારી રીતે શિક્ષણ આપી રહ્યા છે.શિક્ષકો વિદ્યાર્થીઓની શૈક્ષણિક સજ્જતા વધારવા માટે શરૂ કરવામાં આવેલ આ સજ્જતા વર્ધક કેન્દ્રોની વિશેષતા એ છેકે, વિદ્યાર્થીઓનું નાના નાના ગ્રુપમાં સમયબદ્ધ શૈક્ષણિક કાર્ય શરૂ થઇ શક્યુ છે.શાળામાંથી શૈક્ષણિક સાધન સામગ્રી કેન્દ્ર ઉપર લઇ જઈને તેની મદદથી બીજા સત્રનો અભ્યાસક્રમ પદ્ધતિસર વિદ્યાર્થીઓને શીખવવામાં આવી રહ્યો છે.પ્રત્યેક ધોરણમાં વિદ્યાર્થીઓને વિવિધ વિષયોમાં જરૂરી હોય તેવી પ્રતિનિધિત્વરૂપ બંને સત્રની તમામ અધ્યયન નિષ્પત્તિઓ આધારિત શૈક્ષણિક મુદ્દાઓનું વિવિધ શૈક્ષણિક સાધન સામગ્રીની મદદથી દ્રઢિકરણ,પુનરાવર્તન અને સંકલ્પના સ્પષ્ટીકરણ કરાવવામાં આવી રહ્યું છે.આ અંગેનું બંને સત્રનું અધ્યયન નિષ્પત્તિઓ આધારિત વિષયવાર સાહિત્ય લાડોલ સી.આર.સી.કક્ષાએથી કો.ઑર્ડિનેટર સંજયભાઈ પટેલ તેમજ ક્લસ્ટરના ૧૭ વિષય શિક્ષકોની મદદથી તૈયાર કરી શિક્ષકોને અધ્યાપનકાર્ય માટે આપવામાં આવેલ છે.બંને સત્રના કોર્સને સ્પાઈરલ કરી પછીના ધોરણના અભ્યાસક્રમને ધ્યાને રાખી વિદ્યાર્થીઓની કચાસ દૂર કરવામાં આવી રહી છે જેથી ઉપરના ધોરણમાં વિદ્યાર્થીઓને શીખવામાં સરળતા રહે.આ કેન્દ્રોમાં વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સ્થિતિનું નિદાન કરી ઉપચારાત્મક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે તેમજ એકમ કસોટી અને ડિજિટલ કસોટી આધારિત માર્ગદર્શન અને તેનું ઉપચારાત્મક કાર્ય પણ વધુ અસરકારક બનાવવામાં આવ્યું છે.આ સજ્જ્તા વર્ધક કેન્દ્રોમાં શિક્ષકો દ્વારા જાતેજ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નિદાન કરી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં આવશે ત્યારે આજ નવતર પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરેલ સાહિત્યની મદદથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ગુણવત્તા સુધારણાનું કાર્ય વધુ સરળ બનશે અને ઉપરના ધોરણમાં જતાં પહેલાં વિદ્યાર્થીમાં જરૂરિયાત મુજબની અધ્યન નિષ્પત્તિઓ આધારિત કૌશલ્યો કેળવાયેલા હશે.શાળાઓ શરૂ થયા પછી પણ આ નવતર પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓનીશૈક્ષણિક ગુણવત્તા સુધારણાનું કાર્ય ચાલુ રહેશે.આ સમગ્ર પ્રોજેક્ટનું સંકલન અને સંચાલન ક્લસ્ટર કક્ષાએથી સી.આર.સી. કો.ઑર્ડિનેટર સંજયભાઈ પટેલ અને શાળા કક્ષાએથી આચાર્યો દ્વારા થઇ રહ્યું છે.
(તસવીર – અહેવાલ – વિડિયો :- મહેશ આસોડીયા, વિજાપુર)