પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો વચ્ચે શાબ્દિક હુમલાઓમાં ઘણો વધારો થઈ રહ્યો છે. પુરુલિયામાં રેલીને સંબોધિત કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી નક્સલવાદીઓ કરતા વધુ ખતરનાક છે. મમતાએ ભાજપ પર લોકો વચ્ચે જુઠ્ઠાણાં ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, ‘તમે લોકસભામાં ભાજપને વોટ આપ્યો પરંતુ શું તમારા સાંસદ તમને મળવા આવે છે? શું તમને સાંસદ તરફથી અત્યારસુધી કંઈ મળ્યું છે? તેઓ ચૂંટણી અગાઉ ખોટા વાયદા કરે છે અને એકવાર ચૂંટણી પૂર્ણ થાય એટલે ભાગી જશે. બંગાળમાં ભાજપ મેદાનમાં ઓછી અને મીડિયામાં વધુ છે. વિપક્ષને ડરાવવા – ધમકાવવા ભાજપ આઈટી સેલનો ઉપયોગ કરે છે. તેમણે ફેક સમાચાર ફેલાવવા માટે વ્હોટ્સએપ ગ્રૂપ બનાવેલા છે. ભાજપ નક્સલવાદીઓ કરતા પણ વધુ ખતરનાક છે. તેમણે (ભાજપે) બિરસા મુંડાનું અપમાન કર્યું. તેઓ કહે છે કે બંગાળ, પરંતુ તેઓ વોટ મામલે કંગાળ છે.’
મમતા બેનર્જીએ કહ્યું કે, ‘ચૂંટણી અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ લાખ રૂપિયા ખાતામાં નાખવાનો વાયદો કર્યો હતો. શું તમને કોઈને મળ્યા છે? બંગાળમાં દગાબાજ ભાજપને આગળ વધવા નહીં દઈએ. ભાજપે એક્ટ્રેસ સયોની ઘોષને કેવી રીતે ધમકાવી તે લોકો જાણે છે.’ મમતાએ ભાજપને ચેતવણી આપતા કહ્યું કે,‘જો ભાજપ બંગાળી ફિલ્મ ઉદ્યોગને કોઈપણ રીતે અડવા કે ધમકાવવાનો પ્રયાસ કર્યો તો અમે જોઈ લઈશું, સયોની ઘોષ મારી પૌત્રી સમાન છે.’ ઉલ્લેખનીય છે કે, ભાજપ નેતા તથાગત રૉયે સયોની ઘોષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.