ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતાં લોકો રોજી રોટી માટે ઘરે બેઠા હસ્તકલા અને હાથશાળની વસ્તુઓનું સર્જન કરીને રોજગારી સાથે આપણી લોક સંસ્કૃતિ અને પરંપરાને પણ જીવંત રાખી રહ્યા છે જે આપણાં દેશનો સમૃદ્ધ વારસો છે. વડાપ્રધાન મોદીએ આપેલ સંદેશ ‘વોકલ ફોર લોકલ’ ને આત્મસાત કરીને લોકો સ્વદેશી વસ્તુઓ તરફ વળે તે હેતુથી ભારતનાં લોકો દ્વારા જ નિર્મિત, ભારતના લોકો માટે જ બનેલી ચીજ વસ્તુઓ લોકો પોતાના ઘરે અને વ્યવસાયના સ્થળે વસાવે એ મુખ્ય ઉદ્દેશ્ય છે. અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય અને ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકળા વિકાસ નિગમ લિમિટેડના સંયોજનથી ગાંધી શિલ્પ બજારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના ૪૦ અને જયપુર. ઉદયપુર, મુંબઈ, રાંચી- ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉજ્જૈન. ઈન્દોર, ઉત્તરપ્રદેશ, તમિલનાડુના તાન્જોર પેઈન્ટિંગના કારીગરો અને દિલ્હીના હસ્તકલાના સર્જકો તેમની કલા કારીગરીની ઉતમ વસ્તુઓ લઇને અહીં આવ્યાં છે. હસ્તકલા મેળાનું પ્રદર્શન અને વેચાણ કોવિડના તમામ નિયમોનું પાલન કરીને યોજવામાં આવ્યો છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય હાથશાળ, હસ્તકલા અને ગ્રામ ઉદ્યોગના સ્થાનિક કારીગરોને રોજગારી આપીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. આ મેળામાં હાથશાળની બનાવટ, હસ્તકલાની વસ્તુઓ, માટીકામની વસ્તુ , ચર્મ કામ, મોતીકામ, ભરતકામ તથા ગૃહ સુશોભનની અનેકવિધ ચીજ વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવી રહ્યું છે. તા ૧૭ જાન્યુઆરી સુધી ચાલનાર મેળો સવારે ૧૧ઃ૩૦ થી રાત્રિના ૯ વાગ્યા સુધી વિનામૂલ્યે નિહાળી શકાશે.
(તસવીર / અહેવાલ :- મનિષા પ્રધાન, અમદાવાદ માહિતી ખાતુ)