જામનગર પંથકમાં હથિયારની હેરાફેરીનો સિલસિલો યથાવત રહેતા જામજોધપુરના ગોપ પાટીયા પાસેથી સ્થાનિક ગુના શોધક શાખાએ પાંચ પિસ્ટલ, રીવોલ્વર અને સ્ટીક ગન સહિતના સાત હથિયાર અને સાત કાર્ટીસ સાથે સુરતના સપ્લાયર અને રાણાવાવના હથિયાર મંગાવનાર શખ્સને દબોચી લીધા હતા. પોલીસે ગુનાહિત ભુતકાળ ધરાવતા સપ્લાયર સહિતના બંનેની સધન પુછપરછ હાથ ધરી છે. જામનગરની લોકલ ક્રાંઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ એસ. એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.એમ. દેવમુરારી અને આર.બી.ગોજીયાના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળા સ્ટાફના એએસઆઇ માંડણભાઇ વસરા, ફિરોઝભાઇ દલ તથા ધાનાભાઇ મોરી સહિતની ટુકડીને મુળ જામજોધપુરના જીણાવારીનો વતની હાલ સુરત રહેતો મનસુખ કારેણા હથિયારો સપ્લાય કરવા માટે ગોપ પાટીયા પાસે આવી રહ્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવીને મનસુખ હરજીભાઇ કારેણા અને રાજશી માલદેભાઇ ઓડેદરા (રે.રાણાવાવ, જિ.પોરબંદર)ને દબોચી લીઘા હતા જેની પોલીસે તલાશી લેતા મનસુખ પાસેથી ત્રણ પિસ્ટલ, એક રીવોલ્વર તથા છ કાર્ટીસ અને રાજશી પાસેથી બે પિસ્ટલ અને એક ગન તથા કાર્ટીસ મળ્યા હતા. આથી પોલીસે સવા લાખથી વધુની કિંમતના હથિયાર અને કાર્ટસો કબજે કરી બંને સામે આર્મ્સ એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ હથિયારોથી કોઇ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ ? અન્ય કોઇને હથિયાર આપ્યા છે કે કેમ ? સહિતની બાબતોનો તાગ મેળવવા માટે સપ્લાયર સહિતના શખ્સોની સઘન પુછતાછ હાથ ધરી છે. સપ્લાયરની હથિયાર, લૂંટ સહિતના ગુનામાં સંડોવણી આરોપી મનસુખ અગાઉ આદિત્યાણાના સલીમ ઇસ્માઇલ ઉર્ફે ટીટી મુંદ્રાને હથિયાર વેચાણ સહિતના ગુનામાં નાસતો ફરતો રહ્યો હોવાનું તપાસમાં ખૂલ્યું છે. અગાઉ લૂંટના ગુનામાં પણ તેની સંડોવણી ખુલી હોવાનું પોલીસે જણાવ્યું હતું જ્યારે આરોપી રાજશી સામે બે મારમારીના બે ગુનામાં સંડોવાયેલો હોવાનુ ઉમેર્યું હતું.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)