ગૃહ વિભાગે ભાજપના સાંસદ અને અભિનેતા સની દેઓલની સુરક્ષામાં વધારો કર્યો છે. સની દેઓલેને વાય શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. હવે સની દેઓલની સાથે કેન્દ્રીય સુરક્ષા દળોની ટીમ તેનાત રહેશે.
ગૃહ વિભાગના સૂત્રોનું માનીએ તો, આઇબીના રિપોર્ટ અને સની દેઓલને લઇને થ્રેટ પરસેપ્શનના આઘારે સુરક્ષા આપવામાં આવી છે. સની દેઓલને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. જેમાં તેની સાથે ૧૧ જવાબ અને બે
પીએસઓ હાજર રહેશે.તમને જણાવી દઈએ કે સની દેઓલ પંજાબના ગુરદાસપુરના ભાજપના સાંસદ છે. ગુરદાસપુર ભારત-પાકિસ્તાન સરહદની નજીક છે, આવામાં સતત ખતરો રહે છે. પંજાબમાં કૃષિ કાયદાઓનો ઘણો વિરોધ થઈ રહ્યો છે ત્યારે સની દેઓલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ખેડૂત સંગઠનોએ ભાજપના નેતાઓ અને મંત્રીઓનો ઘેરાવ કરવાની પણ વાત કરી હતી.
સની દેઓલ પંજાબમાંથી આવે છે, તેથી કૃષિ કાયદા મુદ્દે તેમના મૌન વિશે પ્રશ્નો ઉભા થયા હતા. જો કે, બાદમાં સની દેઓલે કહ્યું હતું કે, તેમની સરકાર હંમેશા નિર્ણય ખેડૂતોની તરફેણમાં લે છે, સરકાર ખેડૂતોની વાત સાંભળવા માટે તૈયાર છે અને તેઓ ખેડૂતોની સાથે છે.
સની દેઓલના પિતા અને બોલિવૂડ સુપરસ્ટાર ધર્મેન્દ્રએ પણ ટિ્વટ કરીને ખેડૂતોના મુદ્દા પર ચિંતા વ્યક્ત કરી હતી, ધર્મેન્દ્રએ ટિ્વટ કર્યું હતું કે, આ ઠંડા હવામાનમાં ખેડૂતો દિલ્હીના રસ્તાઓ પર બેઠા છે, તેથી સરકારે જલ્દી કંઇક કરવું જોઈએ.
આગળની પોસ્ટ