કેન્દ્ર સરકાર દ્વારા મંજુર કરાયેલ ડભોઇ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધીની રેલવે લાઈનના પુરજોશમાં ચાલી રહેલ કામનું નિરીક્ષણ કરવા આજરોજ વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ ડભોઇ આવી પહોંચ્યા હતાં જ્યાં તેઓની સાથે કોન્ટ્રાક્ટર, અધિકારી, સ્થાનિક અધિકારીઓ, નાયબ કલેકટર શિવાની ગોયલ, નાયબ મામલતદાર જે.એન.પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લા કલેકટર દ્વારા જણાવાયું હતું કે, ગુજરાત સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું જે કાર્ય છે તે ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. ડભોઇથી ચાણોદ સુધીની લાઈન જે પહેલા નેરોગેજ હતી તેને બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવી છે અને ચાણોદથી કેવડિયા સુધીની રેલવે લાઈન નવી નાંખવામાં આવી છે જે અંતર્ગત જમીન સંપાદનથી લઇ બીજા તમામ કાર્યોનું નિરીક્ષણ કરવા જિલ્લા કલેકટર ડભોઇ ખાતે આવી પહોંચ્યા હતાં, તેઓના કહેવા મુજબ આવનારા સમયમાં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ સીધા કેવડિયા સુધી રેલવેમાં આવી શકે માટે રેલવે તેમજ ગુજરાત સરકાર દ્વારા આ પ્રોજેક્ટને સફળ બનાવવા તમામ કાર્યો કરવામાં આવશે. આ સાથે જ તેઓ દ્વારા જમીન સંપાદન અને આ લાઈનમાં આવતા તમામ આજુબાજુના સ્ટેશન જે નિર્માણ થઇ રહ્યા છે તેનું નિરીક્ષણ કર્યું હતું અને આવનારા સમયમાં રેલવે ઝડપથી આ કાર્ય પૂર્ણ કરે તે અંગેની સૂચના આપવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ : વિકાસ ચતુર્વેદી, ડભોઈ)