સાઉદી અરબમાં વિદેશી કામદારો માટે કામ કરવાનું હવે સરળ બનશે. સાઉદી અરબના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયે બુધવારે વિદેશી કામદારોને લગતા શ્રમ કાયદામાં મહત્ત્વપૂર્ણ સુધારાઓને લાગુ કરવામાં આવ્યા છે. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું વિઝન-૨૦૩૦ અને નેશનલ ટ્રાન્સફોર્મેશન કાર્યક્રમ અંતર્ગત નિર્ણય લેવામાં આવ્યો છે. એના દ્વારા વિદેશી કામદારોને ઘણા નવા અધિકાર મળશે. સાઉદી અરબના આ નિર્ણયથી ભારતીયોને ઘણો જ ફાયદો થશે. સાઉદી અરબમાં લગભગ ૨૬ લાખ ભારતીયો કામ કરે છે. સાઉદીની રાજધાની રિયાદમાં આયોજિત પ્રેસ-કોન્ફરન્સમાં સાઉદી અરબના માનવસંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે શ્રમ કાયદામાં સુધારો માર્ચ ૨૦૨૧થી લાગુ થઈ જશે. આ સુધારા લાગુ થયા બાદ કામદારોને સાઉદીમાં રહેવા દરમિયાન પોતાની નોકરી બદલવાની આઝાદી મળશે. સાઉદી અરબનું શ્રમ મંત્રાલય આ બાબતે અવરોધરૂપ નહીં બને. અત્યારસુધી સાઉદી અરબમાં કફાલા સિસ્ટમ લાગુ હતી, જે હેઠળ નિયોક્તાઓને તે અધિકાર મળેલો હતો કે તેમની મંજૂરી વિના વિદેશી કામદારો નોકરી નહીં બદલી શકે અને કર્મચારીઓનું દેશ છોડીને જવાનું પણ તે નિયોક્તાઓની ઇચ્છા પર નિર્ભર હતું. નવા સુધારા બાદ, વિદેશી કામદારો નોકરી બદલવા ઉપરાંત સ્વયં એક્ઝિટ અને ફરીથી રી-એન્ટ્રી વિઝા માટે વિનંતી કરી શકશે અને તેમનું ફાઇનલ એક્ઝિટ વિઝા પર પણ તેમનો સંપૂર્ણ અધિકાર રહેશે. હવે આ બધા માટે નિયોક્તાની પરવાનગીની જરૂર રહેશે નહીં. બધાને સ્વચાલિત મંજૂરી મળી જશે. આનાથી તમામ ભારતીયોને કામ કરવા માટે વધુ સારી તકો મળશે.