ઉત્તર પ્રદેશથી રાજ્યસભા માટે ૧૦ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. તેમાં ભાજપના ૮, સપા અને બસપાના એક-એક ઉમેદવાર સામેલ છે. ભાજપમાંથી હરદીપ સિંહ પુરી, અરૂણ સિંહ, હરિદ્વાર દુબે, બૃજલાલ, નીરજ શેખર, ગીતા શાક્ય, બીએલ વર્મા અને સીમા દ્વિવેદી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા છે. સમાજવાદી પાર્ટીમાંથી ડો. રામગોપાલ યાદવ અને બપસામાંથી રામજી ગૌતમ રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા છે.
રાજ્યસભામાં હજુ ભાજપ પાસે ૮૬ સાંસદ છે. આગામી ૨૫ નવેમ્બર સુધી ભાજપના ૩ સાંસદોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. તેવામાં યૂપીથી ૮ સાંસદો રાજ્યસભા પહોંચ્યા બાદ ભાજપના સભ્યોની સંખ્યા ૮૬થી વધીને ૯૧ થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ સિવાય કોઈ અન્ય ઉમેદવાર મેદાનમાં નથી, જેના કારણે નરેશ બંસલ બિનહરીફ ચૂંટાશે. તો કોંગ્રેસનો આંકડો ૩૮ની પાસે પહોંચી ગયો છે, જ્યારે એનડીએની સંખ્યા ૧૧૧ થઈ ગઈ છે. તે બહુમતના આંકડાથી માત્ર ૧૦ સીટ દૂર છે.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, અરૂણ સિંહ અને નીરજ શેખરનો કાર્યકાળ ૨૫ નવેમ્બરે પૂરો થઈ રહ્યો હતો. હવે આ ત્રણેય બિનહરીફ ચૂંટાયા છે. તો ચાર સાંસદ સપાના (સાંસદ ચંદ્રપાલ સિંહ યાદવ, રામ ગોપાલ યાદવ, રામ પ્રકાશ વર્મા અને જાવેદ અલી ખાન) છે, જ્યારે બસપાના બે સાંસદો રાજારામ અને વીર સિંહનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. તો કોંગ્રેસના પીએલ પુનિયાનો કાર્યકાળ પણ પૂરો થઈ રહ્યો છે. પરંતુ સપા અને બસપાના માત્ર ૧-૧ સાંસદ જ રાજ્યસભા પહોંચી શક્યા છે. તો કોંગ્રેસે ખાલી હાથ રહેવું પડ્યું છે.