આઇપીએલ-૨૦૨૦માં કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન દિનેશ કાર્તિક સતત ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબ સામેની મેચમાં દિનેશ કાર્તિક શૂન્યના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. જે બાદ સોશિયલ મીડિયામાં કેકેઆરના ફેન્સ દિનેશ કાર્તિક પર બરાબરના રોષે ભરાયા હતા. અમુકે તો કાર્તિકને સંન્યાસ લઈ લેવાની પમ સલાહ આપી હતી. દિનેશ કાર્તિકે કિંગ્સ ઈલેવન સામેની મેચમાં મોહમ્મદ શમીના બોલ પર વિકેટકીપર કેએલ રાહુલને કેચ થમાવી દીધી હતી. ૩૫ વર્ષીય કાર્તિક હાલની સિઝનમાં અત્યાર સુધીમાં ૧૨ મેચોમાં ૧૩.૪૫ની સરેરાશથી ૧૪૮ રન બનાવી શક્યો છે. દિનેશ કાર્તિકના ખરાબ ફોર્મ બાદ સોશિયલ મીડિયા પર ભડકેલાં ફેન્સ કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવનથી બહાર કરવાની માગ કરી રહ્યા છે. તો કેટલાકે તો સંન્યાસની પણ માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ ખરાબ ફોર્મને કારણે દિનેશ કાર્તિકે કેકેઆરનું સુકાની પદ છોડ્યું હતું. દિનેશ કાર્તિક ૨૦૧૮થી કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો કેપ્ટન રહ્યો હતો. કાર્તિક કેપ્ટન પદેથી દૂર થતાં ઈંગ્લેન્ડના ઈયોન મોર્ગનને કેકેઆરની કમાન સોંપવામાં આવી હતી.
આગળની પોસ્ટ