ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯ જન આંદોલન અભિયાન ૦૭/૧૦/૨૦૨૦થી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. કોરોના મહામારી અટકાયત અંગે લોકોમાં જનજાગૃતિ આવે અને લોકો માસ્ક પહેરે, વારંવાર સાબુથી હાથ ધુએ, સેનિટાઇઝરનો ઉપયોગ કરે અને ૬ ફુટનું અંતર રાખે તે બહુ જરૂરી છે. આ જન આંદોલનના ભાગરૂપે આજે તા. ૧૫ – ૧૦ – ૨૦૨૦ના રોજ કોવિડ-૧૯ જાગૃતિ માટે શપથનું અમદાવાદ જિલ્લા પંચાયત, વિરમગામ તાલુકા સહિત વિવિધ તાલુકાની સરકારી ઓફિસો તથા ગામોમાં વાંચન કરવામાં આવ્યું હતું. આ જન આંદોલનમાં અનેક આગેવાનો, નાગરિકો, ધર્મગુરૂઓ જોડાયા છે.
કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન મુજબ અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શિલ્પા યાદવ, જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ચિંતન દેસાઇ, જિલ્લા ક્વોલીટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર ડૉ.સ્વામી કાપડીયા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા શપથ લેવામાં આવ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, હું શપથ લઉં છું કે હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું. દરેકથી ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર જાળવીશ. વારંવાર સાબુથી હાથ ધોઈશ કે સેનેટાઈઝ કરતો રહીશ. મારી તથા મારા સ્વજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષની ઉપચાર પદ્ધતિઓ અપનાવીશ અને યોગ – વ્યાયામ ઈત્યાદિથી જીવનશૈલી સુધારીશ તથા મારા પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખીશ તેવી પ્રતિજ્ઞા વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જિલ્લામાં લેવામાં આવી હતી.
(તસવીર / વિડિયો / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)