ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. વરસાદની સિઝનમાં પાણી ભરાઈ જાય છે, ગટરો ઉભરાય છે. અહીંના લોકોને આવી પ્રાથમિક સુવિધાઓ ન હોવાના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હાલમાં કુંભારવાડા સર્કલ થી ગઢેચી વડલા રેલવે ફાટક સુધીના રોડનું કામ એક વર્ષ પહેલા શરૂ થયું હતું. આ કામના ટેન્ડરમાં જણાવ્યા મુજબ ૯ મહિનામા આ કામ પૂરું કરવાનું હતું પણ એક વર્ષ જેટલો સમય થવા આવ્યો છે હજુ રોડના કોઈ ઠેકાણા નથી. રોડના કામ શરૂ થતા પીવાના પાણીની લાઇનો તોડી નંખાતા પીવાના પાણીની લાઈનો ગટર સાથે ભેગી થઈ ગઈ છે. લોકો પ્રદુષિત પાણી રહ્યાં છે. રોડના કામથી લોકો એક વર્ષથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે આજે લોકો રોડ ઉપર આવી મહાનગર પાલિકા સામે અનેક ફરિયાદો કરી હતી અને જણાવ્યું હતું કે તાત્કાલિક રોડના કામ પુરા કરો અને પીવાના પાણીની સાથે ગટરલાઈન જોડાઈ ગઈ છે તે તાત્કાલિક દૂર કરી સારું પાણી મળે તેવી વ્યવસ્થા કરો તેમ કુંભારવાડાના રહીશોએ જણાવ્યું હતું.
(તસવીર / વિડિયો / અહેવાલ : – સુરેશ ત્રિવેદી, ભાવનગર)