વીરપુર પંથકમાં છેલ્લાં ૨૫ દિવસથી અતિભારે વરસાદને કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા હોય એમ લાગી રહ્યું છે. ખેડૂતોએ તનતોડ મહેનત કરી, ઉછીના પૈસા લઈ ઉગાડેલા તમામ પાક પર લગભર પાણી ફરી વળ્યું છે. સરકારે ખેડૂતોની માંગણીને પગલે પાકના નુકસાનીના આંકલન માટે સર્વેની ટીમ બનાવી પણ આ ટીમમાં ઓછો સ્ટાફ અને કામગીરીનો વિસ્તાર વિશાળ હોવાથી ખેડૂતનો ક્યારે વારો આવે તે કંઈ નક્કી નથી. હજુ સુધી ૫ થી ૧૦ ટકા વિસ્તારમાં સર્વે થયો ત્યાં છેલ્લા બે દિવસથી વીરપુર પંથકમાં ફરી ધોધમાર વરસાદ વરસતા પહેલા જેવી જ સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે, જે પાક બચી ગયો હતો તે પણ નિષ્ફળ જતાં ધરતીપુત્રોની ચિંત્ામાં વધારો થયો છે. ખેડૂતોએ સરકાર સમક્ષ જેમ બને તેમ વહેલામાં વહેલી તકે સર્વે કરવાની માંગ કરી છે કેમ કે ખેડૂતોને હજુ શિયાળુ વાવેતર પહેલાનું મધ્યસ્થ કહી શકાય તેવું કઠોળના પાકનું વાવેતર કરવું છે અને આ માટે ખેતરો કોરા જોઇએ એટલે ૧૦૦ ટકા બળી ગયેલ પાકને કાઢવો છે પરંતુ સર્વેની ટીમ આવી ન હોવાથી પાક કાઢી ન શકાતા ખેડૂતોને પડ્યા પર પાટુ સમાન લાગી રહ્યું છે.
(અહેવાલ / તસવીર :- જયેશ સરવૈયા, જેતપુર)
(તસવીર :- રાજન ભખોત્રા, જેતપુર)