સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને લોન મોરાટોરિયમ (હપતા ચુકવણીની મુદત) મામલે નક્કર નિર્ણય લેવા બે અઠવાડિયાંનો સમય આપ્યો છે. ગુરુવારે જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશની બેન્ચે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંકને મોરાટોરિયમ અંગે નિર્ણય લેવાની આ છેલ્લી તક આપવામાં આવી રહી છે તેમ જ કોર્ટે લોનની મુદત ૨૮ સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બેન્કોએ આ સમયગાળા સુધી કોઈપણ લોનની ચુકવણી ન થાય તો નોન-પરફોર્મિંગ એસેટ જાહેર ન કરે. હવે આગામી સુનાવણી ૨૮ સપ્ટેમ્બરના રોજ થશે.
કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તે આ મામલે બેન્કો અને અન્ય હોદ્દેદારો સાથે વાતચીત કરી રહ્યું છે. આ સંદર્ભે બેથી ત્રણ રાઉન્ડની બેઠક યોજાઈ છે અને આ મામલે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વ્યાજનું વ્યાજ ન લેવાની અરજી પર પણ વિચાર કરવા કહ્યું છે. એ સાથે જ લોકોની ક્રેડિટ રેટિંગને ડાઉનગ્રેડ કરવાની ના પાડી છે.
છેલ્લી સુનાવણીમાં ગ્રાહકોના જૂથ અને બાંધકામ ઉદ્યોગના મહારાષ્ટ્ર ચેપ્ટરના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે જો મોરાટોરિયમ વધશે નહિ તો ઘણા લોકો લોનની ચુકવણીમાં ડિફોલ્ટ થશે. આ કિસ્સામાં નિષ્ણાત સમિતિએ સેક્ટર મુજબની યોજના તૈયાર કરવી જોઈએ. રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટના સંગઠન ક્રેડાઈ વતી એડવોકેટ એ. સુંદરમની દલીલ હતી કે મોરાટોરિયમના ગ્રાહકો પાસેથી વ્યાજ વસૂલવું ખોટું છે. આવનારાં વર્ષોમાં નોન-પરફોર્મિંગ એસેટ્સમાં વધારો થઈ શકે છે. શોપિંગ સેન્ટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા વતી એડવોકેટ રણજિત કુમારે કહ્યું હતું કે કોરોનાને કારણે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને રાહત આપવા માટે પગલાં લેવા જોઈએ. ઇમ્ૈંએ ફક્ત બેંકોના પ્રવક્તાની જેમ વાત ન કરવી જોઈએ.
કોરોનાના ચેપના આર્થિક પ્રભાવને ધ્યાનમાં રાખીને ઇમ્ૈંએ માર્ચ મહિનામાં ત્રણ મહિના માટે મોરાટોરિયમની સુવિધા પૂરી પાડી હતી. આ સુવિધા ૧ માર્ચથી ૩૧ મે સુધી ત્રણ મહિના માટે લાગુ કરવામાં આવી હતી. પાછળથી ઇમ્ૈં દ્વારા એની મુદત ૩૧ ઓગસ્ટ સુધી વધારવામાં આવી હતી, એટલે કે કુલ ૬ મહિનાની મુદત-સુવિધા આપવામાં આવી છે. લોન મોરાટોરિયમની સુવિધા ૩૧ ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ છે.