કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઈ લિમિટ વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ ક્ષેત્રમાં ૪૯ ટકા એફડીઆઈને વધારી ૭૪ ટકા કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનું સંબંધિત બિલ ૧૪ સપ્ટેમ્બરે શરૂ થનારા મોનસૂન સત્રમાં રજૂ કરાશે.
રિપોર્ટ મુજબ સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઈની લિમિટ પર નિર્ણય સિવાય કેન્દ્રીય કેબિનેટે ત્રણ લેબર કોડને પણ મંજૂરી આપી છે.
આ લેબર કોડ છે- સામાજિક સુરક્ષા, ઇન્ડસ્ટ્રિયલ રિલેશન અને ઓક્યૂપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ. જણાવવામાં આવી રહ્યું છે કે તેનાથી કામદારોને પેન્શન અને તબીબી સુવિધા મળી શકે છે. જ્યારે બીજી તરફ સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઈ વધારાનો નિર્ણય ખૂબ જ મોટો માનવામાં આવી રહ્યો છે. તેને આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
ગત મહિને ૨૭ ઓગસ્ટના રોજ સંરક્ષણ ક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા આત્મનિર્ભર ભારત સન્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેનો ઉલ્લેખ કર્યો હતો.
પીએમ મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતુ કે ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર ભારતથી ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા હશે. તેમણે જણાવ્યું હતુ કે આ દિશામાં કેટલાક મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે. પીએમ મોદીએ જણાવ્યું હતુ કે આપણું ઉદ્દેશ સંરક્ષણ ઉત્પાદન, નવી ટેક્નિક વિકસિત કરવી અને ડિફેન્સ સેક્ટરમાં પ્રાઇવેટ પ્લેયર્સને મહત્વપૂર્ણ ભૂમિકા આપવી છે.
પીએમ મોદીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતુ કે, સંરક્ષણ ક્ષેત્રમાં રોકાણ માટે દરવાજા ખોલવા અને ૭૪ ટકા એફડીઆઈને મંજૂરી આપવી એ નવા ભારતના વિશ્વાસને દર્શાવે છે.ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન દેશમાં ઉત્પન્ન થયેલા આર્થિક સંકટ વચ્ચે પીએમ મોદીએ આત્મનિર્ભર ભારતની દિશામાં પગલા લેવાનું આહ્યાન કર્યું હતું.