ઉપલેટા તાલુકામાં આવેલું મોટી પાનેલી ગામ કે જ્યાં અંદાજિત ૧૨ હજાર લોકોની વસ્તી ધરાવતું આ ગામ છે. આ મોટી પાનેલી ગામમાં રહેતા લોકોનું કહેવું છે કે આ ગામની અંદર ઘણાં સમયથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. અહીં રસ્તાઓ ખરાબ છે, ગટરો ખુલી છે અને આ ખુલ્લી ગટરમાંથી ગંદકી પણ ઉભરાઈ રહી છે. ગામના આગેવાનો અને ગ્રામજનોએ પંચાયતથી લઈને છેક કલેકટર સુધી રજૂઆતો કરેલ છે છતાં પણ કોઈ નક્કર પરિણામ આવ્યું જ નથી અથવા તો કોઈ નિરાકરણ આવ્યું નથી તેવું પણ કહી શકાય કારણ કે આગેવાનો દ્વારા તંત્રને અનેકો લેખિત રજુઆત કરેલ છે છતાં પણ કોઈ સમસ્યાનું સમાધાન લાવતું નથી. અમુક વિસ્તારોમાં ગટરો માટેના પાઇપ તો નંખાય છે પણ ભરાયા પણ નથી. આવા ખુલ્લા પાઇપને કારણે અહીંથી પસાર થતા લોકો અને બાઈક સવારો અવારનવાર પડતા હોય છે. આ તંત્રની બેદરકારીનો ભોગ એક મહિલા પણ બન્યાં હતાં જેઓને ગંભીર ઈજાઓ પણ થયેલ છે અને હાલ તે તકલીફ ભોગવી રહ્યાં છે. અહીં જ્યારે ઉચ્ચ કક્ષાએ રજુઆત કે ફરિયાદ કરવામાં આવે છે ત્યારે માત્ર બે થી ત્રણ દિવસ સફાઈ કરવામાં આવે છે ત્યારબાદ સૌ કોઈ ગાયબ થઈ જાય છે તેવું ગ્રામજનોનું કહેવું છે. અહીંયા રોડ રસ્તાઓમાં ફેલાતી ગંદકી સાફ કરવા માટે પંચાયત તરફથી કોઈ આવતું નથી કે કોઈ દેખાતું નથી તેવું પણ સ્થાનિક લોકોનું કહેવું છે. હાલ અહીં મોટી પાનેલી પાસે ફુલઝર ડેમ આવેલ છે જે હાલ ઓવરફલો થઈ રહ્યો છે ત્યારે અહીં આજે પણ ચાર થી પાંચ દિવસ પાણી અપાય છે. આવી સમસ્યાઓથી ત્રાહિમામ પોકારીને મહિલાઓએ થાળી અને વેલણ વગાડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓનું કહેવું છે કે પંચાયત તરફથી ગામમાં કોઈ સ્વચ્છતાની કામગીરી કરવામાં આવતી જ નથી જેને કારણે ઠેર ઠેર ગંદકી પણ ફેલાઈ રહી છે અને લોકો આવી કોરોના મહામારીમાં બીમાર પણ પડી રહ્યા છે. મોટી પાનેલી ગામમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૦ છે અને જેમાં મૃત્યુઆંક ૧ છે ત્યારે અહીંના લોકોનું કહેવું છે આવી કોરોના મહામારી વચ્ચે પણ શા માટે પંચાયત અને જવાબદાર તંત્ર આરોગ્ય સાથે ચેડાં કરે છે ?
(વિડિયો / અહેવાલ :- જયેશ સરવૈયા, જેતપુર)
(તસવીર :- રાજન ભખોત્રા, જેતપુર)