સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી વિસ્તારમાં ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યા છે, સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકમાં પાણી ભરાયા છે. પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે પાણી ભરાતા ખેડૂતો પાયમાલ બન્યાં છે અને તેમનો ઉભો પાક નષ્ટ થઈ જવા પામ્યો છે. ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેમાં માંગ કરવામાં આવી છે કે, વરસાદી પાણીનો પાણીનો નિકાલ કરવામાં આવે. એક બાજુ ઉત્કર્ષ વિદ્યાલય તેમજ બીજી તરફ મિલન જીન આવેલું હોય નાના નાળાઓમાંથી પાણી પસાર થઈ શકતું નથી તેથી નાળાઓ બ્લોક થઈ ગયા છે. ખેડૂતોની માંગણી છે કે મોટા નાળાઓ મૂકીને પાણીનો તુરંત યોગ્ય નિકાલ કરવામાં આવે. આશરે ૫૦૦ વીધા જમીનમાં પાણી ભરાઈ જવા પામ્યું છે. આગળના ભાગે જીન હોવાથી ૫૦ થી ૬૦ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે. ખેડૂતોનાં જુવાર, કપાસ, તલ, મગફળી વગેરે પાક નષ્ટ થઈ જવા પામ્યાં છે જેથી ધરતીપુત્રોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ખેડૂતોની માંગણી છે કે પોતાનો પાક નિષ્ફળ જવાથી તંત્ર દ્વારા યોગ્ય વળતર મળે અને વરસાદી પાણીનો નિકાલ થાય.
(તસવીર / વિડિયો / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)