ભ્રષ્ટાચારના આરોપો અને બુકીઓ સાથેના સંપર્ક અંગેની માહિતી ખાનગી રાખવા બદલ પ્રતિબંધનો સામનો કરી રહેલા બાંગ્લાદેશના ટોચના ઓલરાઉન્ડર શાકિબ અલ હસન આ વર્ષે શ્રીલંકા પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય ટીમમાં પુનરાગમન કરે તેવી સંભાવના છે.શાકિબનો પ્રતિબંધ ૨૯મી ઓક્ટોબરે સમાપ્ત થાય છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) દરમિયાન એક કથિત ભારતીય બુકી દ્વારા ભ્રષ્ટાચાર અને ફિક્સિંગ અંગે સંપર્ક અંગે માહિતી નહીં આપવા બદલ શાકિબ પર બે વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો જોકે તેમાંથી એક વર્ષની સજા ઓછી કરવામાં આવી હતી. બાંગ્લાદેશનો શ્રીલંકા પ્રવાસ લગભગ નિશ્ચિત છે અને કાર્યક્રમ જોતાં શાકિબ ત્રણ મેચની ટી૨૦ સીરીઝનો ભાગ બની શકે છે.
બાંગ્લાદેશના મુખ્ય કોચ રસેલ ડોમિંગોએ કહ્યું હતું કે ‘શાકિબનું એક વર્ષ ટીમમાંથી બહાર રહેવું એ ટીમના બીજા ખેલાડીઓથી વધારે અલગ નથી કે જે છ-સાત મહિનાથી ક્રિકેટથી દૂર છે. તેણે કહ્યું, ‘અમે આશા રાખીએ છીએ કે બધા ખેલાડીઓ ફિટ હશે. ફિટનેસ સ્તરને લગતા ધોરણો ઉપસબ્ધ છે જે તેઓએ પ્રાપ્ત કરવાનો રહેશે. અમારે શાકિબ અને અન્ય ખેલાડીઓને મેચ રમવાની તક આપવી પડશે.’ જોકે, શાકિબની પસંદગી થાય તે પહેલાં તેની ફિટનેસ પર વિચાર કરવામાં આવશે.
કોચે કહ્યું, ‘કોઈપણ પ્રકારનું ક્રિકેટ રમ્યા વિના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવું ખૂબ મુશ્કેલ છે. મને લાગે છે કે અમારે તેને કેટલીક મેચ રમવાની તક આપવી પડશે. તે વર્લ્ડ ક્લાસ ખેલાડી છે તેથી મને ખાતરી છે કે તે જલ્દીથી લય હાંસલ કરશે પણ ફિટનેસ એ સૌથી અગત્યની બાબત છે. શ્રીલંકાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મોહન ડી સિલ્વાએ કહ્યું છે, બંને બોર્ડ વચ્ચે બાંગ્લાદેશ માટે રવાના થવાની તારીખ ૨૪મી સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. બંને બોર્ડ હજી પણ બે-ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની ચર્ચા કરી રહ્યા છે જોકે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શરૂઆતના કાર્યક્રમમાં ત્રણ મેચની ટી-૨૦ આંતરરાષ્ટ્રીય સિરીઝને સામેલ કરવાનો આગ્રહ કર્યો છે.