પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલી સરકારી વિનયન કોલેજ ખાતે માઈક્રોસોફ્ટ ટીમના માધ્યમથી વિશ્વ આદિવાસી દિનની ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી.. ગુજરાત યુનિવર્સિટી ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડો. અરુણ વાઘેલાએ પરંપરાગત આદિવાસી સમાજમાં આધુનિકતા વિષય ઉપર તેમજ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના ડૉ. આનંદ વસાવાએ પર્યાવરણના સંવર્ધનમાં આદિવાસીઓની ભૂમિકા વિષય ઉપર વ્યાખ્યાનો આપ્યા હતાં. આદિવાસી સમાજની સંસ્કૃતિ, રીત રિવાજો તેમના લગ્ન પ્રસંગો, પ્રકૃતિ તરફ તેમનો જોવાનો દ્રષ્ટિકોણ, ભારતની સ્વતંત્રતાની ચળવળમાં તેમની ભૂમિકા, માનગઢ હત્યાકાંડ, શ્રી ગોવિંદ ગુરુની ધાર્મિક ચળવળ, સામાજિક સુધારણાના કાર્યો વગેરે વ્યાખ્યાનના મહત્વના મુદ્દા રહ્યા હતા અને ચર્ચા પણ કરવામાં આવી હતી. આદિવાસી સમાજના ગીતો પણ રજૂ કરવામાં આવ્યાં હતાં.
કોલેજના સંસ્કૃત વિભાગાધ્યક્ષ ડો. કાજલ પટેલે સંસ્કૃત શ્લોકગાન અને વૈદિક મંત્રોચ્ચાર કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. કોલેજના આચાર્ય ડૉ. દિનેશ માછીએ મુખ્ય વક્તાઓ તેમજ કાર્યક્રમમાં જોડાયેલ તમામનું શાબ્દિક સ્વાગત અને પ્રાસંગિક ઉદબોધનમાં વિશ્વ આદિવાસી દિનના વિષયનો ઉઘાડ કરી આપ્યો હતો. કાર્યક્રમમાં ગુજરાતમાંથી કોલેજોના અધ્યાપકો, વિદ્યાર્થીઓ તેમજ સામાજિક કાર્યકરો વગેરે જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન એસ.ટી., એસ.સી. સેલના કો-ઓર્ડીનેટર ડો. ગણેશ નિસરતાએ કર્યું અને અંતમાં આભારવિધિ આઈક્યુએસીકો-ઓર્ડીનેટર પ્રા. કિરણસિંહ રાજપુતે કરી હતી.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ