આંધ્ર પ્રદેશના વિજયવાડા સ્થિત એક કોવિડ કેર સેન્ટર હોટેલમાં આગની દુર્ઘટના ઘટતાં તેમાં ૯ દર્દીઓના મોત થયા હતા. આ હોટેલનો ઉપયોગ કોવિડ કેર સેન્ટર તરીકે કરાઈ રહ્યો હતો. ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધો છે.
હોટેલમાં અંદર ફસાયેલા અન્ય લોકોને પણ સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે. વિજયવાડામાં આવેલી હોટેલ સ્વર્ણ પેલેસમાં આગ લાગી હોવાનું જણાયું હતું. આગ લાગી તે સમયે હોટેલમાં ૪૦ લોકો હતા જે પૈકી ૩૦ કોરોનાના દર્દીઓ હતા અને હોસ્પિટલના સ્ટાફના ૧૦ લોકો હતા.ફાયરના જવાનોએ ભારે મહેનત બાદ આગને કાબૂમાં કરી લીધી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની સ્થાનિક હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી સાથે વાત કરી તેમને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદ કરવા વિશ્વાસ આપ્યો છે.
વડાપ્રધાને આ ઘટના પ્રત્યે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. સ્વર્ણ પેલેસ હોટેલને કોવિડ કેરમાં તબદીલ કરાઈ હતી અને આગની ઘટના બાદ સમગ્ર બિલ્ડિંગ ખાલી કરી દેવાઈ છે.વિજયવાડાના પોલીસ કમિશ્નર બી શ્રીનિવાસુલુએ જણાવ્યું કે, આગ સવારે ૫.૦૯ કલાકે લાગી હોવાની માહિતી મળી હતી. ૨૫-૩૦ મિનિટમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. હોટેલમાં ફસાયેલા ૧૫-૨૦ લોકોને બચાવી લેવાયા છે અને અન્ય ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. કેટલાક લોકોની સ્થિતિ ગંભીર છે. હોટેલમાં ૩૦ કોવિડ દર્દીઓ છે અને હોસ્પિટલનો સ્ટાફ પણ હાજર હતો. આંધ્ર પ્રદેશ સરકારે મૃતકોના પરિવારજનોને રૂ. ૫૦ લાખ એક્સ ગ્રેશિયા આપવાની જાહેરાત કરી છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પણ આગની ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું.આંધ્રના ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે આ હોટેલને લીઝ પર લેવામાં આવી હતી અને રમેશ હોસ્પિટલ્સ દ્વારા તેનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું. આગ લાગી તે સમયે હોટેલમાં ૪૦ કોવિડ દર્દીઓ તેમજ ૧૦ હોસ્પિટલના સ્ટાફના લોકો હાજર હતા.
પાછલી પોસ્ટ