અષાઢી બીજના પવિત્ર અવસરે રવિવાર તા. ૨૫/૦૬/૨૦૧૭ના રોજ ઇસ્કોન આયોજિત રથયાત્રાની પરંપરા હેઠળ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્દા અને બંધુ બલરામ સાથે, છત્રીસમી વાર વડોદરાની નગર યાત્રાએ નીકળશે. મેયરશ્રી ભરતભાઇ ડાંગર બપોરના ૨:૩૦ કલાકે રેલવે સ્ટેશન ખાતેથી સોનેરી સાવરણીથી માર્ગની સફાઇ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. ખેલ રાજ્યમંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિત મહાનુભાવો તેમાં જોડાશે. ઇસ્કોન મંદિર ખાતે માધ્યમ સંવાદમાં મેયરશ્રી ભરતભાઇ ડાંગરે જણાવ્યું કે રથ યાત્રાને સ્વચ્છતા વાહન રાખવામાં આવશે. તેમણે જણાવ્યુ હતું કે રથયાત્રા વડોદરાની આગવી ઓળખ અને ગૌરવ પરંપરા બની ગઇ છે. મ્યુનીસીપલ અને પોલીસ પ્રશાસન રથ યાત્રાની સુવિધા અને સુરક્ષામાં પૂર્ણ સહયોગ આપશે. ઇસ્કોન, વડોદરાના ઉપાધ્યક્ષશ્રીમાન નિત્યાનંદ દાસે ભક્તિ અને પ્રભુ સેવાના આ પર્વમાં હરખભેર જોડાવા વડોદરાવાસીઓને આમંત્રણ આપ્યુ હતુ તથા રથ યાત્રા દરમિયાન ૧૫ ટન શિરાના પવિત્ર મહાપ્રસાદના વિતરણ સહિત વિવિધ પ્રબંધોની જાણકારી આપી હતી.