મધ્યપ્રદેશમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થયું હતું. પ્રભારી રાજ્યપાલ આનંદીબેન પટેલે રાજભવનમાં મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. જેમાંથી ૨૦ કેબિનેટ મંત્રી અને ૮ રાજ્ય મંત્રી સામેલ છે. જેમાં ગોપાલ ભાર્ગવ, વિજય શાહ, યશોધરા રાજે સિંધિયા સહિત અનેક મોટા નેતા સામેલ છે. ૧૧ સિંધિયા સમર્થકોને રાજકિય વફાદારીના બદલામાં કેબિનેટમાં સ્થાન મળ્યું છે.
બીજેપી નેતા યશોધરા રાજે સિંધિયા અને ભૂપેન્દ્ર સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતી. હરસૂદ વિધાનસભાથી સાત વખત ધારાસભ્ય પહેલા વિજય શાહ ઉપરાંત રહલી વિધાનસભા સીટના ગોપાલ ભાર્ગવે પણ શપથ લીધા હતા.
ગોપાલ ભાર્ગવ, વિજય શાહ,જગદીશ દેવડા, બિસાહૂલાલ સિંહ,યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ, એન્દલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહે કેબિનેટ મંત્રી પદના લીધા છે. વિશ્વાસ સારંગ, ઈમરતી દેવી, પ્રભુરામ ચૌધરી, પ્રધ્યુમન સિંહ તોમાર, ઓમ પ્રકાશ સકલેચા, ઉષા ઠાકુર,પ્રેમ સિંહ પટેલ, હરદીપ સિંહ ડંગ, અરવિંદ સિંહ ભદૌરિયા, ડો. મોહન યાદવ અને રાજ્યવર્ધન સિંહે પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા.
ત્યાર પછી ભારત સિંહ કુશવાહ, ઈન્દર સિંહ પરમાન, રામખિલાવન પટેલ, રામકિશોર કાંવરે, બૃજેન્દ્ર સિંહ યાદવ અને ગિર્રાજ દંડોદિયાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. કાર્યક્રમ પહેલા શિવરાજે રાજ્યપાલ આનંદીબેન પટેલને ૨૦ કેબિનેટ અને ૮ રાજ્યમંત્રીની યાદી સોંપી હતી.જૂના ચહેરાઓમાં પારસ જૈન, ગૌરીશંકર બિસેન, રામપાલ સિંહ, રાજેન્દ્ર શુક્લા, સંજય પાઠક, જાલમ સિંહ પટેલ અને સુરેન્દ્ર પટવા અંગે સહમતિ બની શકા નહોતી.
કેન્દ્રીય નેતૃત્વ તરફથી મળેલા આદેશો સાથે પ્રદેશ પ્રભારી વિનય સહસ્ત્રબુદ્ધે બુધવારે ભોપાલ પહોંચ્યા હતા. ત્યારબાદ સીએમ નિવાસમાં મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા, પ્રદેશ પ્રભારી સહસ્ત્રબુદ્ધે અને સંગઠન મહામંત્રી સુહાસ ભગત વચ્ચે તમામ ગુંચવાડા અંગેની વાત થઈ હતી. મોડી રાતે મંત્રી બનાવાઈ રહેલા તમામ લોકોને ફોન કરવામાં આવ્યા હતા. રાજેન્દ્ર શુક્લા, ગૌરીશંકર બિસેન અને સંજય પાઠક પર સહમતિ નહોતી બની હતી, મોડી રાતે તેમને સીએમ હાઉસ બોલાવ્યા હતા. રાજેન્દ્ર પાંડે પણ દાવેદારી કરી રહ્યા હતા. તેમની સાથે પણ સહસ્ત્રબુદ્ધેએ વાત કરી હતી. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે પહેલા વિચાર હતો કે મંત્રીમંડળની સંખ્યા સીમિત રાખવામાં આવે, પરંતુ ૨૮ મંત્રી બનાવાયા અને પાંચ મંત્રી પહેલાથી છે હવે પછી મંત્રીમંડળમાં માત્ર એક પદ જ ખાલી રહેશે.મપ્રમાં વિધાનસભા બેઠકોને ધ્યાનમાં રાખતા સીએમ સાથે ૩૪ મંત્રી જ બનાવી શકાય છે. નોંધનીય છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક છ મંત્રીઓ સહિત ૨૨ ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ૨૦ માર્ચે કમલનાથે રાજીનામું આપવું પડ્યું હતું અને ૧૫ મહિનામાં જ કોંગ્રેસ સરકારનું પતન થયું હતું. શિવરાજે ૨૩ માર્ચે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. કોરોના વાયરસ મહામારી અને લૉકડાઉન દરમિયાન આશરે એક મહિના સુધી તેમણે એકલા જ સરકાર ચલાવી હતી.