અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલની ગુજરાત અને ગુજરાત બહાર એક સમય ભારે પ્રતિષ્ઠા હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વીએસ હોસ્પિટલની પ્રતિષ્ઠા ઘસાતી જાય છે તેમાં પણ વીએસ હોસ્પિટલના મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલના આશીર્વાદથી ઊભી થયેલી જૂની બિલ્ડિંગને તોડવાના તંત્રના પ્રયાસ સામે ભારે વિરોધ વંટોળ થતાં ચેરિટી કમિશનર દ્વારા પણ આની સામે સ્ટે અપાયો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં કોર્પોરેશન દ્વારા વીએસ હોસ્પિટલ પરિસરમાં ભવ્ય બહુમાળી બિલ્ડિંગ ઊભી કરાઈ રહી છે.
કોર્પોરેશન આ બિલ્ડિંગમાં દર્દીઓ માટે હેલિપેડની સુવિધા સહિત સારવારની અદ્યતન સગવડ આપશે. આની સાથે સાથે વીએસ હોસ્પિટલની જૂની બિલ્ડિંગને તોડવાના ચક્રો ગતિમાન કરાયા હતા. જોકે આની સામે વિરોધ થવાથી મામલો ચેરિટી કમિશનર સુધી પહોંચ્યો હતો. જે દરમિયાન ચેરિટી કમિશનરે સ્ટે આપતા આજે સવારે વીએસ હોસ્પિટલના સત્તાવાળાઓએ સ્ટેના હુકમ બાબતે વધુ અભ્યાસ કરવા તાકિદની બેઠક બોલાવી હતી. એએમસી મેટ સાથેના જોડાણ સામે પણ સ્ટે અપાતાં કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો છે.
આગળની પોસ્ટ