બ્રિટનનાં ડોકટરોને કોરોનાની સફળ સારવાર માટે એન્ટિ ઈન્ફ્લેમેટરી સ્ટિરોઇડ તરીકે ઉપયોગમાં લેવાતી દવા ડેક્સામેથાસોનનાં પરીક્ષણમાં સફળતા મળી છે. કોરોના સંક્રમિત દર્દીને ગંભીર સ્થિતિમાં પણ જો આ દવાનો હળવો ડોઝ આપવામાં આવે તે તેનાંથી મૃત્યુદરમાં ૩૩ ટકાનો ઘટાડો શક્ય છે તેવું પરીક્ષણમાં પુરવાર થયું છે. ડેક્સામેથાસોનનાં વધુ પરીક્ષણ પછી જો કોરોનાનાં દર્દીઓ સાજા થશે તો કોરોનાની સારવાર માટે તે અનોખી સિદ્ધિ પુરવાર થશે.યુકેની ક્લિનિકલ ટ્રાયલનાં વૈજ્ઞાનિકો દ્વારા પરીક્ષણનાં આ પરિણામોને મોટી સફળતા અને અનેરી સિદ્ધિ ગણાવવામાં આવ્યા હતા.સંશોધકોએ તેનો કોરોનાની સારવાર માટે તત્કાળ ઉપયોગ કરવાની ભલામણ કરી હતી. ઓક્સફર્ડ યુનિવર્સિટીનાં પ્રોફેસર માર્ટિન લેન્ડરેએ જણાવ્યું હતું કે કોરોનાનો કોઈ દર્દી જો વેન્ટિલેટર્સ પર હોય કે તેને ઓક્સિજન આપવામાં આવતું હોય તો તેવા સંજોગોમાં જો ડેક્સામેથાસોનનો હળવો ડોઝ આપવામાં આવે તો પણ તેનો જીવ બચાવી શકાય છે તેવું પરીક્ષણમાં જણાયું છે. આ સારવાર ઘણી ઓછી ખર્ચાળ છે.પ્રોફેસર પીટર હોર્બીએ કહ્યું હતું કે એસીડીટીની સારવાર માટે ડેક્સામેથાસોનનો ઉપયોગ થતો હોય છે. જેનાંથી કોરોનાનો મૃત્યુદર ઘટાડી શકાશે તેવું જણાયું છે. તેમણે આ દવા કોરોના સામે લડવા મેજર બ્રેક થ્રૂ છે. ઓક્સિજન સપોર્ટ પર રહેતા દર્દીઓને આ દવાથી વધારે લાભ થયો છે. જે દર્દીઓને ઓક્સિજન સપ્લાયની જરૂરિયાત હતી તેમનામાં આ દવાનાં ઉપયોગથી મૃત્યુનું જોખમ ૧/૫ ઘટયું છે. બ્રિટનમાં આ દવા ઉપલબ્ધ હોત તો ૫,૦૦૦ મોતને અટકાવી શકાયા હોત.ટ્રાયલ દરમિયાન ઓક્સફર્ડ યુનિવર્સિટીની ટીમે ૨,૦૦૦ દર્દીઓને આ દવા આપી હતી. વેન્ટિલેટર પર નભતા દર્દીઓને પણ આ દવાની સારી અસર જોવા મળી હતી. જેમનામાં મોતનું જોખમ ૪૦ ટકાથી ઘટીને ૨૮ ટકા સુધી પહોંચી ગયું હતું. ઓક્સિજન સપોર્ટ પર જે દર્દીઓ હતા તેમનામાં મોતનું જોખમ ઘટીને ૨૫થી ૨૦ ટકા પહોંચી ગયું.
પાછલી પોસ્ટ