૧૭૨૨ ખેડૂતોના ૩૦૧૨ મેટ્રીકટન ચણાની ખરીદી કરાઈ
વેરાવળ તા.૨૨, દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે ત્રીજા લોકડાઉનથી સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડ શરૂ કરવામાં આવ્યા હતા. ખેડૂતો તેમની જીવાદોરી સમાન ખેતજણસનું વેચાણ કરવા માટે માર્કેટીંગ યાર્ડમાં આવી રહ્યા છે. રાજ્યભરની માર્કેટીંગ યાર્ડોમાં તા. ૫ મે થી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. ચણાના ૨૦ કિલોગ્રામના ટેકાના ભાવ રૂા.૯૭૫ સરકારશ્રીએ નક્કી કર્યા છે. તે મુજબ હાલમાં સરકારશ્રી દ્રારા ખેડૂતો પાસેથી ચણાની ખરીદી કરવામાં આવી રહી છે.
વેરાવળ તાલુકા માંથી ૧૭૮૬ અને તાલાળા તાલુકા માંથી ૨૩૪૬ ખેડૂતોએ તેમના ચણાનું વેચાણ કરવા માટે ઓનલાઈન રજીસ્ટે્શન કરાવ્યું છે. કાજલી માર્કેટીંગ યાર્ડમાં તા. ૫ મે થી અત્યાર સુધી ૧૭૨૨ ખેડૂતોના ૩૦૧૨ મેટ્રીકટન ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ ખેડૂત પાસેથી ૧ હેક્ટરે ૧૨૮૦ અને ૨ હેક્ટરે ૨૫૦૦ કિલોગ્રામ ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. ગુજકોમાસોલ દ્રારા ખેડૂત પાસેથી ચણાનું સેમ્પલ લઈ તેનું પૃથ્થકરણ કરી ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. ચણાની ખરીદીના પૈસા સીધા ખેડૂતના ખાતામાં ઓનલાઈન જમા થાય છે. યાર્ડ સવારે ૮ વાગ્યા થી સાંજે ૫ વાગ્યા સુધી ખુલ્લું રહે છે અને ચણાની ખરીદી બપોરે ૨ વાગ્યા સુધીમાં કરવામાં આવે છે. આ યાર્ડમાં ૧૫૦ વધુ મજુરો રોજગારી મેળવી રહ્યા છે.
માર્કેટીંગ યાર્ડના ચેરેમેનશ્રી ગોવિંદભાઇ પરમાર, સેક્રેટરી કાળુભાઈ ડોડીયા, દેવગીરી બાપુ ગુજકોમાસોલના નરેન્દ્રસિંહ પરમાર, ગ્રામ સેવક ભાવેશભાઈ ખેર તેમની ફરજ બજાવી રહ્યા છે.
તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ