બેટી બચાવોનો સંદેશ લોકો સુધી પહોચાડવા માટે દિકરીના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરાઇ
(વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ દ્વારા) સામાન્ય રીતે દિકરા કે દિકરીના જન્મ દિવસની ઉજવણી મોલ, મલ્ટીપ્લેક્ષ કે હોટલમાં જઇને પરીવાર સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનાં ખેરવા ગામના વતની અને હાલ વિરમગામ ખાતે ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા જયેશભાઇ પરમારે દિકરીનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસમાં ફરજ બજાવતા નીલકંઠભાઇ વાસુકિયાની પ્રેરણાથી જયેશભાઇ પરમાર અને ખમ્માબેન પરમારની દિકરી પ્રિયલના જન્મ દિવસની બેટી બચાવો થીમ પર ઉજવણી કરવામાં આવી હતી અને બેટી બચાવોનો સંદેશ લોકો સુધી પહોચાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કનૈયાલાલ પરમાર, પદ્માબેન, જીગ્નેશભાઇ, રીતુબેન, આયુષી સહીતના પરીવારજનો સહીત નીલકંઠ રો બંગ્લોઝના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
બેટી બચાવો થીમ પર દિકરીના જન્મ દિવસની ઉજવણી કરવા અંગે જયેશભાઇ પરમારે જણાવ્યુ હતુ કે, અમારા પરીવારમાં દિકરા-દિકરી વચ્ચે ક્યારેય ભેદભાવ રાખવામાં આવતો નથી. દિકરો દિકરી એક સમાન જ છે. દિકરીને પણ જન્મવાનો અધિકાર છે. દિકરીની ભૃણમાં હત્યા કરવી એ મહાપાપ છે. ભારતવર્ષની સંસ્કૃતિમાં માતૃશક્તિને દેવી માનવામાં આવે છે. બેટી બચાવોનો સંદેશ લોકો સુધી પહોચાડવાના ઉમદા હેતુથી મારી દિકરી પ્રિયલના જન્મ દિવસની બેટી બચાવો થીમ પર ઉજવણી કરવામાં આવી હતી. આજની દિકરીઓ પણ દિકરા સમોવડી છે. દિકરીઓની ઘટતી જતી સંખ્યાએ ચિંતાજનક બાબત છે. સૌ કોઇ એ સાથે મળીને દિકરીઓને બચાવવી જોઇએ અને દિકરીઓને પણ ઉત્તમ શિક્ષણ આપવું જોઇએ.