કડીમાં નાગરિકતા સંશોધન બિલના સમર્થનમાં રાષ્ટ્ર હિત ચિંતક સમિતિ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની ઉપસ્થિતિમાં માર્કેટયાર્ડ ખાતેથી રેલી નીકળી હતી જે કડીના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી હતી અને ત્યાર બાદ નગરપાલિકાના મેદાનમાં મામલતદાર ગોસ્વામીને આવેદનપત્ર આપી રેલીનું સમાપન થયું હતું. રાષ્ટ્ર હિત ચિંતક સમિતિના કાર્યકરોએ સીએએના કાયદાના સમર્થન કરતું આવેદન પત્ર મામલતદારને આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા કાયદા અંગે સમજણ આપવામાં આવી હતી. કડીના સામાજીક, ધાર્મિક તેમજ પ્રબુદ્ધ નાગરિકો તેમજ યુવાશક્તિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો કે વોટબેંકની રાજનીતિ કરવાવાળા હિંસક અને ઉપદ્રવી તત્વોના પ્રયત્નોને નિષ્ફળ બનાવી લોકોને કાયદા અંગે સાચી સમજણ આપી લોકોને સમર્થનમાં જોડવા જોઈએ.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં લૂંટાઈ રહેલી બેન દીકરીઓની આબરૂ અને પોતાનો જીવ બચાવવા ભારતમાં આવી રહેલા શરણાર્થીઓને ભારતના નાગરિક તરીકેનો લાભ અને અધિકાર આપવા સરકારના સીએએ કાયદાને સમર્થન આપવા માટે સમગ્ર રાજ્યની જેમ કડીમાં પણ રાષ્ટ્ર હિત ચિંતક સમિતિ દ્વારા રેલી કાઢવામાં આવી છે જેમાં કાયદાના વિરોધમાં જેટલા લોકો જોડાયેલા છે તેનાથી વધારે લોકો કાયદાને સમર્થન આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કડી શહેરમાં થોડા દિવસ પહેલા કાયદાના વિરોધમાં મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર બંધ રહ્યો હતો જેથી નાયબ મુખ્યમંત્રીએ કાયદાનો વિરોધ કરતા લોકો ને કોંગ્રેસ ના માણસો કરાવી રહ્યા હોવાનું કહી ચાબખા માર્યા હતા.
ઉલ્લેખનીય છે કે કડી માર્કેટયાર્ડના મેદાનમાંથી નીકળેલી આશરે બે કિલોમીટર જેટલી લાંબી નીકળેલી રેલીમાં લોકોએ શિસ્તબદ્ધ રીતે કાયદાને સમર્થન કરતા વિવિધ પ્લેબોર્ડ સાથે નાગરિકતા સંશોધન કાયદાને સમર્થન આપ્યું હતું. રેલીમાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, કડીના ધારાસભ્ય કરસન સોલંકી, ગુજરાતી અભિનેત્રી શ્રદ્ધા ઝા, કાલિદાસ બાપુ સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો કાયદાના સમર્થનમાં ઉમટી પડ્યા હતા જેમાં પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ઘટે નહિ તેની તકેદારી રૂપે ચાંપતો બંદોબસ્ત રાખ્યો હતો.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)
આગળની પોસ્ટ