લંડનના ઓવલમાં રમાયેલી ચેમ્પિયન ટ્રોફીના ફાઈનલ મુકાબલામાં ભારતની હારનો જશ્ન મનાવનાર જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારુકને ક્રિકેટર ગૌતમ ગંભીરે એક સલાહ આપી છે. ભારતની હાર પર કાશ્મીર ખીણમાં થયેલી આતશબાજીમાં મીરવાઈઝ સામેલ થયાની તસવીર જાહેર થતાં અને પાકિસ્તાનને અભિનંદન આપતાં તેમના ટિ્વટ બાદ ગૌતમ ગંભીરે ટિ્વટ કરીને મીરવાઇઝ સામે નિશાન તાકતા જણાવ્યું હતું કે, ‘મીરવાઈઝ, તમને એક સલાહ છે, તમે બોર્ડર પાર કરીને કેમ જતા નથી ? ત્યાં (પાકિસ્તાન)માં તમને સારા ફટાકડા (ચાઈનીઝ) મળશે. ત્યાં જ તમારે ઈદ મનાવી લેવાની જરૂર છે. તમારો સામાન પેક કરવામાં હું તમને મદદ કરીશ.
ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં ભારત ૧૮૦ રને ભારતના પરાજય પર કાશ્મીર ખીણમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને મોટાપાયે આતશબાજી થઈ હતી. મીરવાઈઝ પણ આ આતશબાજી અને ભારતની હારનો ઉત્સવ મનાવવામાં જોડાયા હતા.ટીમ ઈન્ડિયાની હાર બાદ મીરવાઈઝના ઘરની સામે આતશબાજી થઈ હતી. પાકિસ્તાનના વિજય પર ફટાકડા ફોડી રહેલા કાશ્મીરના લોકોનું મીરવાઈઝે હાથ હલાવીને અભિવાદન કર્યું હતું અને ખુશી વ્યક્ત કરી હતી. મીરવાઈઝે ટિ્વટર પર લખેલા પોતાના સંદેશામાં જણાવ્યું હતું કે ચારે બાજુ આતશબાજી થઈ રહી હતી, એવું લાગે છે કે જાણે ઈદ આવી ગઈ છે. શ્રેષ્ઠ રમત રમીને પાકિસ્તાન ટીમે જીત હાંસલ કરી છે. પાકિસ્તાનની ટીમને અભિનંદન.પાકિસ્તાનની જીત બાદ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સીઆરપીએફ કેમ્પની અંદર પણ ફટાકડા ફેંકવામાં આવ્યા હતા. દેશના બીજા ભાગોમાં ટીમ ઈન્ડિયાની હારથી લોકો રોષે ભરાયા હતા. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સહિત કેટલાક ક્રિકેટરોની ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના કાનપુર અને ઉત્તરાખંડના હરિદ્વારમાં રોષે ભરાયેલા લોકોએ ટીવી સેટ તોડી નાંખ્યા હતા અને જબરદસ્ત વિરોધ દેખાવો કર્યા હતા.