ખેલ રાજ્યમંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જન્મ દિવસની ઉજવણીના અનોખા પ્રારંભના રૂપમાં સીનીયર સિટીઝન્સની શ્રવણ તીર્થ યાત્રા પ્રવાસની સાત બસોને વહેલી સવારે પ્રસ્થાન કરાવ્યુ હતું. તેમણે રાજ્યના સીનીયર સિટીઝન્સ તેમના વિભાગ હેઠળના પવિત્ર યાત્રાધામ બોર્ડ સંચાલિત અને રાહતદરે ધાર્મિક સ્થળોની યાત્રા અને દર્શનનો લાભ આપતી યોજનાનો મોટા પ્રમાણમાં લાભ લે તેવો ખાસ અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ખેલ રાજ્યમંત્રીશ્રીના કાર્યાલય દ્વારા આ પ્રવાસની વ્યવસ્થાઓનું સંકલન કરવામાં આવ્યુ હતું. પ્રવાસમાં જોડાયેલા વડીલો અને માતૃશક્તિએ ખેલ રાજ્યમંત્રીશ્રીને સ્વસ્થ, સુખી અને દિર્ઘાયુ જીવનના શુભાશિષ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ૬૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના સીનીયર સિટીઝન્સ જુથોમાં ધાર્મિક સ્થળોની યાત્રાનો આનંદ માણી શકે તે માટે શ્રવણ તીર્થ યોજના અમલમાં મૂકી છે જેમાં બસ ભાડામાં ૫૦ ટકા રાહતનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ૨ રાત્રિ-૩ દિવસના ટુંકા પ્રવાસોનું આયોજન કરી શકાય છે. મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, રાજ્ય સરકારે એક હજાર નવી બસો ખરીદી છે. શ્રવણ તીર્થ યાત્રીઓને યાત્રા માટે શક્ય હોય ત્યાં સુધી નવી બસો ફાળવવાનો આગ્રહ રખાશે.
ખેલ રાજ્યમંત્રીએ અંગત અને પારિવારીક ખુશીના પ્રસંગમાં વંચિતોને સહભાગી બનાવીને જન્મ દિવસની પ્રેરક ઉજવણી કરી હતી. બસ પ્રસ્થાન સમયે નાયબ મેયર શ્રી યોગેશ પટેલ, પક્ષ પદાધિકારીશ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, શ્રી સદાનંદ દેસાઇ સહિત નગરસેવકો અને કાર્યકરો તથા નાગરિક સંરક્ષણ દળના સેવાકર્મીઓએ મંત્રીશ્રીને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે દિવસ દરમિયાન એસએસજીમાં સારવાર હેઠળના દર્દીઓને ફળ વિતરણ, મનો આરોગ્ય ઇસ્પીતાલ, બાળ ગોકુલમ જેવી સંસ્થાઓના અંતેવાસીઓને જરૂરી સાધન સામગ્રીનું વિતરણ અને બાજવાડા શેઠશેરીમાં ફિઝીયોથેરાપી સુવિધાનો પ્રારંભ જેવી સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ જન્મ દિવસના ભાગરૂપે આયોજિત કરવામાં આવી હતી.