ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો રોજગાર ભરતી મેળો અને એપ્રેન્ટીસ ભરતી મેળો વેરાવળમાં સી.પી.ચોકસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ખાતે મત્સ્યોધોગ અને પ્રવાસન મંત્રી જવાહર ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.જિલ્લા રોજગાર કચેરી- ગીર સોમનાથ અને આઈ.ટી.આઈ. વેરાવળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ ભરતી મેળામાં ૭૮૦ થી વધુ યુવાઓ સહભાગી થયા હતા. આ સૌરાષ્ટ્રની ૧૧ કંપનીઓના પ્રતિનિધિઓ ઉમેદવારોના સિલેકશન માટે આવ્યાં હતાં.
આ તકે મંત્રીજવાહર ચાવડાએ યુવાઓને શીખ આપતા કહ્યું કે નોકરી માટે વતનમાં જ કામ મળે તેવી માનસિકતામાંથી બહાર આવી તમારા કૌશલ્યને અનુરૂપ જ્યાં પણ સારી તક મળતી હોય તો ત્યાં જવા તૈયારી રાખી સફળ થવા અનુરોધ કર્યો હતો. રાજય સરકાર યુવાનોને કામ મળે, નોકરી મળે અને તેનો વિકાસ થાય તે માટે કટિબધ્ધ છે તેમ જણાવી રોજગારી આપવામાં સરકાર પ્રતિબધ્ધ હોવાની સાથે ભરતી મેળા થકી યુવાઓને રોજગારી મળી રહી છે તેની વિગતો આપી હતી.
રાજ્યબીજ નિગમના ચેરમેન રાજશી જોટવાએ જણાવ્યું હતું કે, યુવાન બેકાર ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ભરતી મેળાના આયોજન કરી રોજગારીની તક આપવામાં આવે છે. બીજ નિગમમાં પણ યુવાઓને નોકરીની તક મળે તે માટે કામગીરી ચાલુ છે તેમ જણાવ્યું હતું. અગ્રણી ઝવેરી ઠકરારે કહ્યું કે, યુવાનોને રોજગારી ભરતી મેળાના માધ્યમથી રોજગારી મળી રહેશે. નાયબ જિલ્લા ચુંટણી અધિકારી પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા કાર્યરત મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત પુખ્તવયના લોકોએ તેમનું નામ મતદારયાદીમાં ઉમેરવું તેમજ લોકો મતદારયાદીમાં તેમના નામમાં સુધારો વધારો ઓનલાઈન પર પોતાની રીતે કરી શકશે. રોજગાર અધિકારી ડી.આર.ધોળકીયાએ રોજગાર ભરતી મેળા અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું. આઇ.ટી.આઇ. આચાર્ય એમ.એચ.ગૈાસ્વામીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન જાલોંધરા, નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન સુયાણી, કલેકટર અજયપ્રકાશ, નાયબ કલેકટરનીતીન સાંગવાન, ચીફ ઓફિસર જતીન મહેતા, ડાયાભાઈ જાલોંધરા, વિક્રમભાઈ પતાટ, લખમભાઈ ભેંસલા, રિતેશભાઈ ફોફંડી તેમજ મોટી સંખ્યામાં ઉમેદવારો સહભાગી થયા હતા. કાર્યક્મનું સંચાલન શિક્ષક નિમાવતે અને આભારવિધી મામલતદાર દેવકુમાર આંબલીયાએ કરી હતી.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)