શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતાના સાથીપક્ષ ભારતીય જનતા પાર્ટીને મહારાષ્ટ્રમાં ખેડૂતોને સંપૂર્ણ કર્જમુક્તિ મામલે આકરી ચેતવણી આપી છે.ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવેલી ખેડૂતો માટેની કર્જમુક્તિને જુલાઈ માસમાં લાગુ નહીં કરવામાં આવે તો શિવસેના મોટું પગલું ઉઠાવશે.
મહારાષ્ટ્રની ભાજપના દેવેન્દ્ર ફડણવિસની સરકાર દ્વારા ખેડૂતોને પૂર્ણ કર્જમાફી આપવાની ઘોષણાને તેમણે ખેડૂતોની એકતાની જીત ગણાવી છે.ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે કે તેમની માગણીઓ બેહદ સ્પષ્ટ હતી. તેઓ ચાહતા હતા કે ખેડૂતોને સંપૂર્ણ કર્જમુક્તિ મળે. પુણતાંબા ગામ સહીતના આખા મહારાષ્ટ્રમાંથી આવેલા ખેડૂતોની સાથેની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે તેઓ ખેડૂતોને ધન્યવાદ આપવા માંગે છે.તેમણે હરિત ક્રાંતિ સંદર્ભે સાંભળ્યું હતું. પરંતુ મહારાષ્ટ્રના ખેડૂતોએ એ દેખાડી દીધું કે જે લોકો હરિત ક્રાંતિ લાવી શકે છે. તેઓ ક્રાંતિ પણ કરી શકે છે. આ પહેલા શિવસેનાએ મહારાષ્ટ્રમાં ખેડૂતોની કર્જમુક્તિના એલાનનો શ્રેય લીધો હતો.શિવસેનાએ કહ્યું છે કે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસની સરકારે આ નિર્ણય શિવસેનાના દબાણ બાદ લીધો છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં જણાવ્યું છે કે સરકારે ખુલ્લા મનથી ખેડૂતોની કર્જમુક્તિની ઘોષણા કરી નથી. આ સરકાર પર સતત ઉભા કરાયેલા દબાણનું પરિણામ છે.