મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મંદસોર હિંસા પીડિતોને મળ્યા હતા. મુખ્યમંત્રીએ પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવાર સભ્યોને એક એક કરોડ રૂપિયાનું વળતરની રકમ સાથે સંબંધિત કાગળો સુપરત કર્યા હતા. બીજી બાજુ મધ્યપ્રદેશમાં ફરી બે ખેડૂતોએ આપઘાત કર્યો છે. બે દિવસની અંદર જ મધ્યપ્રદેશમાં ચાર ખેડૂતો આપઘાત કરી ચુક્યા છે. મધ્યપ્રદેશના બાલાઘાટ, બદવાનીમાં બે ખેડૂતોએ આપઘાત કર્યો છે. ખેડૂતોએ આપઘાત કેમ કર્યો છે તે અંગે માહિતી મળી શકી નથી. આ અગાઉ મંગળવારના દિવસે મધ્યપ્રદેશમાંથી બે ખેડૂતોના આપઘાતના અહેવાલ આવ્યા હતા. હોસંગાબાદ અને મુખ્યમંત્રીના વતન જિલ્લા શિહોરમાં એક-એક ખેડૂતે આપઘાત કર્યો હતો. ભાજપના મહાસચિવ કૈલાશ વિજય વર્ગીએ નિવેદનમાં કહ્યું છે કે, મધ્યપ્રદેશમાં ખેડૂતોએ દેવાના લીધે નહીં બલ્કે અંગત કારણોસર આપઘાત કર્યો છે. મંદસોરમાં ખેડૂતોના મોતના મુદ્દે રાજનીતિ જારી છે. કોંગ્રેસના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે ભોપાલમાં ૭૨ કલાક માટે સત્યાગ્રહની શરૂઆત કરી હતી. ભાજપે કોંગ્રેસ ઉપર ખેડૂતોને ભડકાવવા અને હિંસા માટે તેમને ઉશ્કેરવાના આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસની એક મહિલા ધારાસભ્ય ઉપર આ સંદર્ભમાં કેસ દાખલ કરાયો છે.
મંદસોર હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યોને વળતરની રકમની ચુકવણી ઇ-પેમેન્ટ મારફતે કરવામાં આવશે. શિવરાજસિંહ ચૌહાણ પીડિતોને મળ્યા બાદ મધ્યપ્રદેશના જનસંપર્ક અધિકારી દ્વારા આ મુજબની વાત કરવામાં આવી હતી. મધ્યપ્રદેશના ખેડૂતોને વાજબી કિંમતો મળે તેવા પ્રયાસ થઇ રહ્યા છે. મધ્યપ્રદેશના ખેડૂત પોતાની પેદાશ માટે યોગ્ય કિંમતની માંગને લઇને પહેલી જૂનથી આંદોલન કરી ચુક્યા છે. ૧૦મી જૂન સુધી ખેડૂતો આંદોલન ઉપર હતા. આ ગાળા દરમિયાન દેખાવકારોએ હિંસા કરી હતી જેમાં પોલીસ ગોળીબારમાં પાંચ ખેડૂતોના મોત થયા હતા.
આગળની પોસ્ટ