સિધ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય એવી કહેવત છે. પરંતુ સાહસિકતા જેમનો સ્વભાવ છે એવા લોકો હાડગાળી નાંખે અને પાણીને થીજવી દે તેવા બર્ફીલા વાતાવરણને સહન કરીને પણ સિધ્ધિને પામે છે. ૪૨ + ડિગ્રી જેટલા વિષમ તાપમાનમાં વસવાટ કરનારા વડોદરા-મુંબઇના યુવા કિશોરોના જુથે આવુ જ પરાક્રમ બરફાચ્છાદિત હિમાલયના શુન્યથી નીચે ૩ ડિગ્રી જેટલા તાપમાનમાં કર્યુ છે. વડોદરાને નામના અપાવનારા પર્વતારોહક વૈદ્ય પરિવાર દ્વારા પ્રયોજિત સંસ્થા ઇકો એડવેન્ચર ટ્રેઇલના આયોજન હેઠળ ૩૭ યુવા કિશોરોએ તાજેતરમાં જ હિમાલય પ્રદેશના ધોલાઘાર રેન્જમાં ૧૪ હજાર ફૂટ જેટલી ઉંચાઇએ સાહસિક પરિભ્રમણ પૂરું કર્યુ છે અને બરફથી થીજીને ચોસલુ થઇ ગયેલા સૌરતાલને રોમાંચભર્યો સ્પર્શ કરી આવ્યા છે. આ પરિભ્રમણ દરમિયાન તેમણે બરફના ભારે તોફાનનો હિંમતપૂર્વક સામનો કર્યો હતો અને બરફમાં પહાડી પર ચઢાણનો કપરો અનુભવ પણ લીધો હતો, જેનુ બચપણ ખડક ચઢાણ અને પર્વતારોહણની સાહસિક પ્રવૃત્તિઓમાં વીત્યુ એવી પ્રાચી વૈદ્યએ, પર્વતારોહક માતાપિતા સંદીપ અને હેમા વૈદ્યના માર્ગદર્શન હેઠળ આ હાઇ અલ્ટીટ્યુડ હિમાલયન ટ્રેકીંગ એક્સપેડીશનનું સફળ નેતૃત્વ કર્યુ હતું. આ જુથે સુસવાટા મારતા બર્ફીલા પવનોનો મુકાબલો કરીને સૌરતાલ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને દેશની શાનને સલામી આપી હતી.
આ જુથે થીજેલા બરફની નદી કહેવાય એવા ગ્લેશિયર ઉપર આઇસક્રાફટીંગ, રોક કલાઇમ્બીંગ, રેપલીંગ, મલ્ટીવાઇન રોપ, રીવર ક્રોસીંગ જેવી દિલધડક અને સાહસભરી પ્રવૃત્તિઓની તાલીમ મેળવી હતી. આ જુથની ખાસીયત એ હતી કે તેમાં મુંબઇથી ગુજરાતી અને વડોદરાથી મહારાષ્ટ્રીયન કિશોર-કિશોરીઓ જોડાયા હતા. આ એક્સ્પેડીશનના માર્ગદર્શક શ્રી સંદીપ વૈદ્યે જણાવ્યુ હતું કે, ઇકો એડવેન્ચર ટ્રેઇલ સંસ્થાનો મુખ્ય આશય પ્રકૃત્તિની વિવિધતાનું અને અમૂલ્યતાનું યુવા કિશોર સમુદાયને પ્રત્યક્ષ જ્ઞાન આપીને, તેમનામાં સાહસિકતાનું સિંચન કરવાનો અને તેમને પ્રકૃતિપ્રેમી બનાવવાનો છે. એટલે દર વર્ષે સંસ્થા હિમાલયના બર્ફાની પ્રદેશમાં આ પ્રકારના સાહસ પ્રવાસનું આયોજન કરે છે.