અમદાવાદ શહેરના બે ઝોન જેમાં દક્ષિણઝોનના વિસ્તારો અને નવા પશ્ચિમઝોનના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે.આ વિસ્તારોમાં મ્યુનિ.તંત્ર તરફથી ટેન્કરો ભાડે કરીને પાણી પહોંચાડવામાં આવી રહ્યું હોવાછતાં અહીના લોકોને પાણી ન મળતા લોકો પરેશાન બન્યા છે.આ અંગેની વિગત એવી છે કે,શહેરના દક્ષિણ ઝોન અને પૂર્વઝોન આ બે ઝોનને રાસ્કા આધારીત શેઢી કેનાલમાંથી પાણી પુરૂ પાડવામાં આવતુ હતુ.શેઢી કેનાલને સમારકામ માટે સિંચાઈ વિભાગને સોંપી દેવામાં આવ્યા બાદ કોતરપુરથી પાઈપલાઈન દ્વારા આ બે ઝોનને પાણી પુરૂ પાડી શકાશે એવી તંત્રના અધિકારીઓની ગણતરી ખોટી પડી છે. દક્ષિણઝોનના બહેરામપુરા, દાણીલીમડા, વટવા, રામોલ સહીતના અનેક વિસ્તારોમાં ટેન્કરો દોડાવવા છતાં પણ પાણી પુરૂ પડતુ નથી તો બીજી તરફ શહેરના નવા પશ્ચિમઝોનના વિસ્તારો જોધપુર, મકતમપુરા સહીતના વિસ્તારોમાં પણ પાણીની સમસ્યા હવે રોજની બની છે.જોધપુર વોર્ડમાં તો મ્યુનિસિપલ તંત્ર તરફથી ૨૪ કલાક પાણી આપવાની જાહેરાત કરવામાં આવી છે.ઉપરાંત આ વોર્ડના મહિલા કોર્પોરેટર પોતે શહેરના મેયર પણ રહી ચુકયા છે.આમ છતાં તેમની ફરિયાદોને પણ તંત્ર ગંભીરતાથી લેતુ નથી.બીજી તરફ પાણીના પ્રશ્ને હવે બંને મુખ્ય પક્ષોના કોર્પોરેટરો આમને-સામને આવી ગયા છે.મ્યુનિ.ની ગત માસની બેઠકમાં મેયરે પૂર્વ વિપક્ષનેતાને એવો ટોણો માર્યો હતો કે તમે તમારા સમયમાં કોઈ કામ ન કર્યા એના આ પરિણામ લોકો ભોગવી રહ્યા છે.પૂર્વ વિપક્ષનેતાનું કહેવુ છે કે,તેમના સમયમાં તે સમયની વસ્તીને ધ્યાનમાં રાખીને દાણીલીમડા ગામમાં અને ચંડોળા તળાવના કીનારે એમ બે ટાંકી બનાવવામાં આવી હતી.પરંતુ ૧૫ વર્ષમાં વસ્તી વધી છે ત્યારે વિસ્તારની પાણીની સમસ્યા તંત્ર દ્વારા દુર થવી જોઈએ.