દિયોદર ખાતે ગજાનન યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૨ સપ્ટેમ્બરના રોજ દિયોદરમાં ગણપતિની ભવ્ય શોભાયાત્રા નીકળશે. ચાલુ વર્ષે પર્યાવરણ બચાવોના સંદેશ સાથે પીઓપીની મૂર્તિના બદલે ઇકો ફ્રેન્ડલી માટીની ગણપતિની મૂર્તિનું સ્થાપન કરાશે.ગણેશ મહોત્સવને લઈને નવા જૈન દેરાસર પાસે નહેરુ ચોકમાં ૭ દિવસ વિવિધ સભર રંગારંગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.શિવનગર ગણપતિ મંદિર ખાતે ૨ સપ્ટેમ્બરના રોજ સવારે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, તે દિવસે બપોરે શોભાયાત્રા નીકળશે અને સાંજે આરતી થશે.આ યજ્ઞ તેમજ મૂર્તિના દાતા ત્રિવેદી ચંદ્રિકાબેન રમણીકલાલ (અમદાવાદ) હસ્તે. ત્રિવેદી ઉર્વીબેન વિપુલકુમાર તેમજ ત્રિવેદી કોમલબેન ગૌરાંગકુમાર (ઓસ્ટ્રેલિયા) છે.
શ્રી ગજાનન યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ ચતુર્થી મહોત્સવ-૨૦૧૯માં દિયોદરના વિવિધ સામાજિક સંગઠનો અને નગરજનોનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે જેમાં છેલછબીલા હનુમાનજી યુવક મંડળ, નરનારાયણ યુવક મંડળ, ભૈરવ શક્તિ સેવા ટ્રસ્ટ, દ્વારકાધીશ યુવક મંડળ, ભારત વિકાસ પરિષદ, લાયન્સ કલબ,વિશ્વ હિન્દુ પરિષદ, જય અંબે યુવક મંડળ, જલારામ યુવક મંડળ,વડવાળા યુવક મંડળ, પરશુરામ યુવક મંડળ, રાવણા રાજપૂત યુવક મંડળ, સદારામ યુવક મંડળ, અખિલ આંજણા યુવક મંડળ, લીંબચ યુવા સંગઠન, માળી સમાજ યુવક મંડળ સહિત તમામ મહિલા મંડળો અને ગ્રામજનોનો સહયોગ સાંપડી રહ્યો છે.
તસ્વીર / અહેવાલ રઘુભાઈ નાઈ દિયોદર, બનાસકાંઠા..